કોરોના વાઇરસને અંકુશમાં લેવા માટે કેન્દ્ર સરકારે રાજ્યો માટે બુધવારે નવી ગાઇડલાઇન જારી કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રાલયે રાજ્યોને નાઇટ કર્ફ્યૂ, કન્ટેનમેન્ટ ઝોનમાં નિયમોના કડક પાલન, કોવિડ નિયમોનું પાલન હિતના સ્થાનિક નિયંત્રણો સહિતના વિવિધ પગલાં લેવાની તાકીદ કરી હતી. આ ગાઇડલાઇનનો અમલ પહેલી ડિસેમ્બરથી થશે. કેન્દ્ર સરકારે નિયંત્રણો લાગુ કરવાની રાજ્યોને છૂટ આપી છે.

ગાઇડલાઇનમાં કેન્દ્ર સરકારે જણાવ્યું અત્યાર સુધીમાં કોરોના સામેની લડાઈમાં આપણે સફળ રહ્યા છીએ, તેને આગળ પણ જાળવી રાખવાની છે. દેશમાં એક્ટિવ કેસોની ઘટી રહેલી સંખ્યાને જોતા આ બાબત સ્પષ્ટ થાય છે. અલબત, તહેવારની સિઝન તથા કેટલાક રાજ્યોમાં કેસોની સંખ્યા વધવાની સ્થિતિ જોવા મળી છે. આ રાજ્યોએ સાવચેતી રાખવી પડશે તથા કન્ટેનમેન્ટ, સર્વિલન્સ ઉપાયોને કડક રીતે લાગૂ કરવા પડશે.

રાજ્યોએ કન્ટેનમેન્ટ ઝોનમાં નિયમોનું કડક પાલન કરવાનું રહેશે. સર્વિલન્સ સિસ્ટમને મજબૂત કરવી પડશે. જિલ્લા વહિવટીતંત્રએ કેન્દ્ર સરકાર તરફથી જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈનનું પાલન કરાવવાનું રહેશે. તમામ જીલ્લામાં બનનારા કન્ટેનમેન્ટ ઝોનની યાદી તેમની વેબસાઈટ પર અપલોડ કરવાની રહેશે. તે આરોગ્ય મંત્રાલય સાથે પણ શેર કરવાની રહેશે.

ગાઇડલાઇનમાં જણાવાયું હતું કે કન્ટેનમેન્ટ ઝોનમાં નિયમના કડક અમલીકરણ માટે લોકોની અવર-જવરને અટકાવાની રહેશે. ફક્ત આવશ્યક ચીજવસ્તુઓ તથા મેડિકલ સામગ્રી માટે જ છૂટ મળશે. સર્વિલન્સ ટીમ ઘરે ઘરે જઈ કોરોનાના લક્ષણ ધરાવતા લોકોની ઓળખ કરશે. પ્રોટોકોલ પ્રમાણે ટેસ્ટિંગ હાથ ધરવાના રહેશે. સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવનારા લોકોની યાદી બનાવવી. તેમની ઓળખ કરી ટ્રેક કરવામાં આવે તથા ક્વોરેન્ટિન કરવામાં આવે. સંક્રમિત વ્યક્તિની તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવે. તેને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવે. જરૂર પડવાના સંજોગોમં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે.