અમદાવાદમાં કોરોના વાઇરસના કેસોમાં ઉછાળા વચ્ચે 50 બેડના કોવિડ સેન્ટરની તૈયારી દરમિયાન વેન્ટિલેટર ગોઠવામાં આવી રહ્યા છે. (PTI Photo)

ગુજરાતમાં છેલ્લાં એક સપ્તાહથી કોરોનાના નવા કેસ અને મોતની સંખ્યામાં ઘટાડા બાદ સોમવારે તેમાં ફરી વધારો થયો હતો. સરકારે કોરોનામુક્ત ગામડાનું અભિયાન ચાલુ કર્યું હોવા છતાં કોરોના ગામડામાં આતંક મચાવી રહ્યો છે અને ઝડપથી ફેલાઈ રહ્યો છે. મે મહિનામાં રાજ્યના કુલ દૈનિક કેસોમાંથી 41 ટકા કેસ ગામડામાં નોંધાયા હતા અને દૈનિક મોતમાંથી 53 ટકા મોત પણ ગામડામાં થયા હતા.

સરકારના સોમવાર, 10મેના ડેટા અનુસાર રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 11,592 કેસ નોંધાયા હતા અને 117 દર્દીના મોત થયા હતા. પોઝિટિવ કેસની સંખ્યામાં અગાઉના દિવસ કરતાં 508નો વધારો થયો હતો. રાજ્યમાં કોરોનાનો કુલ મૃત્યુઆંક વધીને 8,511 થયો હતો.

ગુજરાતમાં રવિવાર, 9 મેએ કોરોનાથી 121 લોકોના મોત થયા હતા, જેમાંથી 54 ટકા મોત બિનશહેરી વિસ્તારોમાં થયા હતા, જ્યારે 46 ટકા મોત આઠ મોટો શહેરોમાં થયા હતા. એક મહિના પહેલા નવ એપ્રિલે દરેક 42માંથી 35 મોત શહેરી વિસ્તારમાં થયા હતા. આમ દૈનિક મોતમાંથી શહેરી વિસ્તારોનો હિસ્સો 83 ટકા જેટલો ઊંચો હતો. નવા આંકડા દર્શાવે છે કે ગ્રામીણ વિસ્તારમાં પોઝિટિવ કેસની સંખ્યામાં વધારાની સાથે મોતની સંખ્યામાં પણ વધારો થયો છે. તેનાથી રાજ્ય સરકારે કોરોનામુક્ત ગામડાનું અભિયાન ચાલુ કર્યું છે. મે મહિનામાં રાજ્યના કુલ દૈનિક કેસોમાંથી 41 ટકા કેસ ગામડામાં નોંધાયા હતા અને દૈનિક મોતમાંથી 53 ટકા મોત પણ ગામડામાં થયા હતા.

સરકારે સોમવારે સાંજે જારી કરેલા ડેટા અનુસાર છેલ્લાં 24 કલાકમાં અમદાવાદમાં નવા 3,263 કેસ સાથે 20 દર્દીનાં મોત થયા હતા, જ્યારે સુરતમાં નવા 1,092 કેસ સાથે 11 દર્દીનાં મોત થયા હતા. વડોદરામાં નવા 1230 કેસ સાથે 12 દર્દીનાં મોત થયા હતા, જ્યારે રાજકોટમાં નવા 572 કેસ સાથે 11 દર્દીનાં મોત થયા હતા. ભાવનગરમાં નવા 338 કેસ સાથે 4 દર્દીનાં મોત, જામનગરમાં નવા 565 કેસ સાથે 14 દર્દીનાં મોત, ગાંધીનગરમાં નવા 269 કેસ સાથે એક દર્દીનાં મોત, જૂનાગઢમાં નવા 514 કેસ સાથે 8 દર્દીનાં મોત થયા હતા.

આ ઉપરાંત મહેસાણામાં 507, બનાસકાંઠામાં 266, પંચમહાલમાં 254 કેસ, દાહોદમાં 246, કચ્છમાં 244, ગીર સોમનાથમાં 200 કેસ, અમરેલીમાં 183, મહિસાગરમાં 181, ખેડામાં 164 કેસ, આણંદમાં 157, સાબરકાંઠામાં 156, પાટણમાં 151 કેસ, અરવલ્લીમાં 133, વલસાડમાં 123, ભરૂચમાં 115 કેસ, સુરેન્દ્રનગરમાં 113, નવસારીમાં 108, નર્મદામાં 90 કેસ, દ્વારકામાં 87, છોટાઉદેપુરમાં 81, મોરબીમાં 67 કેસ, બોટાદ-પોરબંદરમાં 38-38, તાપીમાં 35, ડાંગમાં 12 કેસ નોંધાયા હતા. છેલ્લી સ્થિતિ મુજબ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 136158 પહોંચી ગઈ હતી. જેમાંથી 792 દર્દીઓને વેન્ટિલેટર પર રાખવામાં આવેલા હતા. ગુજરાતમાં રિકવરી રેટ હાલમાં 79.11% રહ્યો હતો.