પ્રતિક તસવીર - REUTERS/Amit Dave

ભારતમાં કોરોનાની બીજી લહેરે સુનામીનું સ્વરૂપ ધારણ કરીને દહેશતનો માહોલ ઊભો કર્યો છે. દેશમાં રવિવાર સુધીના સતત ચાર દિવસ સુધી કોરોનાના નવા કેસની સંખ્યા ચાર લાખથી વધુ રહી હતી અને સતત બે દિવસ માટે 4,000થી વધુના મોત થયા હતા. સોમવાર અને મંગળવારે કોરોના ટેસ્ટમાં ઘટાડાની સાથે નવા કેસ કેસની સંખ્યા હતી, પરંતુ હાલમાં હોસ્પિટલમાં બેડ અને મેડિકલ ઓક્સિજન અને દવાની તીવ્ર અછત વચ્ચે હેલ્થકેર સિસ્ટમ પર પ્રચંડ દબાણ ઊભું થયું છે. તેનાથી આર્મીના ભૂતપૂર્વ મેડિકલ ઓફિસરોની મદદ લેવી પડી રહી છે. કોરોના સંકટમાં વિશ્વભરના દેશો ભારતને સહાય કરી રહ્યાં છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મંગળવારે સવારે જારી કરેલા ડેટા મુજબ દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઇરસના નવા 3.29 લાખ કેસ નોંધાયા હતા અને 3,876 લોકોના મોત થયા હતા. તેનાથી કુલ કેસની સંખ્યા વધીને 2,29,92,517 થઈ હતી અને કુલ મૃત્યુઆંક વધીને 2,49,992 થયો હતો. કોરોનાના વિકરાળ સ્વરૂપને કારણે દેશમાં રાષ્ટ્રવ્યાપી લોકડાઉનની માગણીમાં પણ વધારો થઈ રહ્યો છે.
ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના ડેટા મુજબ રવિવારે 1.47 મિલિયન કોરોના ટેસ્ટ થયા હતા, જે આ મહિનાના અત્યાર સુધીના સૌથી ઓછા છે. આની સામે મે મહિનાના પ્રથમ આઠ દિવસમાં દરરોજ સરેરાશ 1.7 મિલિયન કોરોના ટેસ્ટ થતાં હતા.
હેલ્થકેર સિસ્ટમ પર ભારે દબાણની વચ્ચે સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે હેલ્થકેર સિસ્ટમને સપોર્ટ કરવા માટે આર્મીના આશરે 400 ભૂતપૂર્વ મેડિકલ ઓફિસરને 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર રાખવામાં આવશે. બીજા ડિફેન્સ ડોક્ટર્સને ઓનલાઇન કન્સલ્ટેશન્સ માટે તૈયાર રાખવામાં આવ્યા છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા મુજબ બે મહિના સુધી વધારા બાદ દેશમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 37,15,221 છે, જે કુલ કેસના 16 ટકા છે. રાષ્ટ્રીય રિકવરી રેટ 82.75 ટકા છે. દેશમાં અત્યાર સુધી 1,90,27,304 લોકો કોરોનાથી રિકવર થયા છે અને મૃત્યુદર 1.09 ટકા છે. દેશમાં થયેલા 3,876 લોકોના મોતમાંથી મહારાષ્ટ્રમાં 549, કર્ણાટકમાં 596, ઉત્તરપ્રદેશમાં 278, દિલ્હીમાં 319, તમિલનાડુમાં 232, પંજાબમાં 198 અને છત્તીસગઢમાં 172ના મોત થયા હતા. ગુજરાતમાં સોમવારે 117 લોકોના મોત થયા હતા.

દેશમાં કોરોનાના કુલ નવા કેસમાંથી 73.91 ટકા કેસ દસ રાજ્યોમાં નોંધાયા હતા. આ રાજ્યોમાં મહારાષ્ટ્ર, કર્ણાટક અને દિલ્હી સૌથી વધુ અસરગ્રસ્ત છે. સોમવારે મહારાષ્ટ્રમાં 48,401, કર્ણાટકમાં 47,930 અને કેરળમાં 35,801 નવા કેસ નોંધાયા હતા. દિલ્હીમાં 13,336 નવા કેસ અને 273 મોત નોંધાયા હતા.

દેશના સંખ્યાબંધ રાજ્યોમાં છેલ્લાં એક મહિનાથી આકરાં નિયંત્રણો લાદવામાં આવ્યાં છે. સિનેમા હોલ, રેસ્ટારાં, પબ, શોપિંગ મોલ અને લોકોની અવરજવર પર આકરા નિયંત્રણો છે. જોકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે ગયા વર્ષ જેવું રાષ્ટ્રીય લોકડાઉન લાદવાનું દબાણ વધી રહ્યું છે.

વિશ્વના સૌથી મોટા વેક્સીન ઉત્પાદક દેશ ભારતમાં હજુ 34.3 મિલિયન લોકોનું સંપૂર્ણ વેક્સિનેશન કરવામાં આવ્યું છે, જે 1.35 બિલિયનની વસતીના માત્ર 2.5 ટકા છે.

વ્હાઇટ હાઉસનાા કોરોના વાઇરસ એડવાઇઝ ડો એન્થની ફૌસીએ રવિવારે જણાવ્યું હતું કે તેમણે ભારત સરકારને શટડાઉનની સલાહ આપી છે. ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન (IMA)એ પણ સંપૂર્ણ લોકડાઉનની માગણી કરી છે.
આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ભારતને વૈશ્વિક રાહત તરીકે 6,738 ઓક્સિજન કોન્સેન્ટ્રેટર્સ, 3,856 ઓક્સિજન સિલિન્ડર, 16 ઓક્સિજન જનરેશન પ્લાન્ટ, 4,668 વેન્ટિલેટર્સ/ Bi PAP/ C PAP અને ત્રણ લાખથી વધુ રેમડેસિવિર ઇન્જેક્શન મળ્યા છે.