સમગ્ર દુનિયા કોરોના સંકટથી ઝઝૂમી રહી છે. ભારતમાં ચોથી વખત લોકડાઉન લાગુ કર્યા બાદ પણ કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યાંજ પાકિસ્તાન પણ કોરોના સંકટનો સામનો કરી રહ્યુ છે. હવે એક શોધમાં અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે કે, બંને દેશમાં જો કોરોના વાયરસના કેસ આ જ ગતિથી વધતા રહ્યા તો ઓગસ્ટ સુધીમાં ભારતમાં મૃત્યુઆંક 34 હજાર અને પાકિસ્તાનમાં 5 હજારને પાર થઈ જશે.

અમેરિકાની યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડના ચેપી રોગના નિષ્ણાંત ફહીમ યૂનૂસના જણાવ્યા મુજબ, ભારત અને પાકિસ્તાનમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જો આ જ રીતે આંકડા વધતા રહ્યા તો 4 ઓગસ્ટ સુધી મૃત્યુઆંક અનેક ગણો વધી જશે.

તેમણે અંદાજ વ્યક્ત કર્યો છે કે 4 ઓગસ્ટ સુધી કોરોના વાયરસને કારણે લગભગ 34,155 લોકોના મોત થઈ શક છે. જો કે તેમણે જણાવ્યું છે કે અંદાજ ખોટા હોઈ શકે છે. યૂનૂસે જણાવ્યું છે કે, પાકિસ્તાનમાં 4 ઓગસ્ટ સુધી કોરોના વાયરસને કારણે 5,332 લોકોના મોત થઈ શકે છે. પાકિસ્તાનમાં હાલ કોરોના વાયરસ 50,694 કેસ સામે આવ્યા છે. કોરોના વાયરસને કારણે પાકિસ્તાનમાં 1,066 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.