Getty Images)

ગુજરાતમાં કોરોના વાયરસના દૈનિક કેસમાં થઇ રહેલા વધારાનો ક્રમ સતત છઠ્ઠા દિવસે જારી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં અત્યારસુધીના સૌથી વધુ 735 કેસ નોંધાયા હતા. આમ, આ સિૃથતિ પ્રમાણે ગુજરાતમાં પ્રતિ કલાકે 30 વ્યક્તિને કોરોના સંક્રમણ થઇ રહ્યું છે. આ સાથે જ ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંક હવે 36858 થઇ ગયો છે. આ પૈકી જુલાઇના 6 દિવસમાં જ 4215 કેસ નોંધાયા છે. ગુજરાતમાં હાલ 8573 એક્ટિવ કેસ છે.

આરોગ્ય વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી વિગતો અનુસાર છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 29 જિલ્લાઓમાં કોરોનાના નવા કેસ નોંધાયા હતા. માત્ર ડાંગ-પોરબંદર-દેવભૂમિ દ્વારકા-નર્મદા એવા જિલ્લા હતા જ્યાં એકપણ કેસ નોંધાયો નથી. સતત ત્રીજા દિવસે અમદાવાદ કરતાં સુરતમાં દૈનિક કેસ વધારે નોંધાયા હતા. સુરતમાં છેલ્લા 24 કલાકમાં 241 સાથે કોરોનાના કુલ કેસનો આંક હવે 6 હજારને પાર થઇને 6209 થયો છે.

સુરતમાં જૂન માસના અંતે કોરોનાના કુલ કેસની સંખ્યા 4829 હતી જ્યારે જુલાઇના 6 દિવસમાં જ 1380 કેસ નોંધાયા છે. આમ, સુરતમાં જુલાઇમાં પ્રતિ કલાકે 10 નવા કેસ સામે આવી રહ્યા છે. બીજી તરફ અમદાવાદમાં વધુ 183 સાથે કોરોનાના કુલ કેસનો આંક હવે 22 હજારને પાર થયો છે. અમદાવાદમાં જુલાઇના 6 દિવસમાં કોરોનાના કુલ 1162 કેસ નોંધાયેલા છે.

છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના અન્ય જિલ્લાઓ કે જ્યાં કોરોનાના વધુ કેસ નોંધાયા તેમાં 65 સાથે વડોદરા, 35 સાથે ભાવનગર, 24 સાથે બનાસકાંઠા,21 સાથે રાજકોટ, 18 સાથે ભરૂચ, 15 સાથે જુનાગઢનો સમાવેશ થાય છે. કોરોનાના કુલ કેસનો આંક વધુ પાંચ સાથે સુરેન્દ્રનગરમાં 200ને જ્યારે અમરેલીમાં વધુ 7 સાથે 100ને પાર થયો છે.

હવે ગુજરાતના 24 જિલ્લામાં કોરોનાના 100થી વધારે કેસ નોંધાયેલા છે. હાલ અમદાવાદમાં 3515, સુરતમાં 2014, વડોદરામાં 729, રાજકોટમાં 260, ભાવનગરમાં 204, ગાંધીનગરમાં 160, મહેસાણામાં 153 એક્ટિવ કેસ છે. ગુજરાતમાં હાલ 8573 એક્ટિવ કેસમાંથી 69 દર્દીઓ વેન્ટિલેટર પર છે.

છેલ્લા 24 કલાકમાં વધુ 17 સાથે કુલ મરણાંક હવે 1962 થયો છે. અમદાવાદમાંથી 7, સુરતમાંથી 6, અરવલ્લીમાંથી 2, બનાસકાંઠા-ખેડામાંથી 1-1 વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા છે. અમદાવાદમાં કોરોનાથી કુલ મરણાંક હવે 1491 થયો છે. રાજ્યના અન્ય જિલ્લાઓ કે જ્યાં કોરોનાથી વધુ મૃત્યુ થયા છે તેમાં 188 સાથે સુરત 49 સાથે વડોદરા અને 30 સાથે ગાંધીનગરનો સમાવેશ થાય છે.

છેલ્લા 24 કલાકમાં 423 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. જેમાં અમદાવાદમાંથી 240, સુરતમાંથી 86, ભરૂચમાંથી 21નો સમાવેશ થાય છે. અત્યારસુધી અમદાવાદમાંથી 17069, સુરતમાંથી 4007, વડોદરામાંથી 1855 દર્દીઓ કોરોનાને હરાવવામાં સફળ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 6340 ટેસ્ટ સાથે કોરોનાના કુલ ટેસ્ટનો આંક હવે 4,18,464 થયો છે.