કોરોના વાઈરસનો પ્રકોપ હવે 157 દેશો સુધી ફેલાઈ ગયો છે. સોમવાર સવાર સુધીમાં કુલ 1,69,515 કેસ તથા મૃત્યુઆંક 6,515 સુધી પહોંચી ગયો હોવાનું રીપોર્ટમાં જાણવા મળ્યું છે. તે ઉપરાંત 77,753 લોકો ઈન્ફેક્શનમાંથી બચી પણ ગયા છે. અમેરિકાએ 29 રાજ્યોની સ્કૂલોમાં આગામી આદેશ ન મળે ત્યાં સુધી સ્કૂલો બંધ કરવાનો આદેશ આપ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ સરકારના જણાવ્યા પ્રમાણે બે હજાર હાઈસ્પીડ લેબ સોમવારથી શરૂ થશે.

પોપ ફ્રાન્સિસ પણ વેટિકનથી નીકળીના રોમની ખાલી રસ્તાઓ પર નીકળ્યા હતા. તેમણે મહામારી ઝડપથી ખતમ થાય તે માટે પ્રાર્થના કરી હતી. કોરોના વાઈરસના કારણે ઈટાલીમાં છેલ્લા 24 કલાકમાં 368 લોકો મોતને ભેટ્યા છે, જ્યારે એકજ દિવસમાં 3590 નવા કેસ નોંઘાય છે. આ સાથે જ ઈટાલીમાં અત્યાર સુધીમાં 1809 લોકોના મોત થયા છે અને 24747 લોકો પોઝિટિવ છે.

જર્મનીએ કોરોના વાઈરસના ફેલાવાને લઈને પાંચ દેશ સાથેની બોર્ડર બંધ કરી દીધી છે. જેમાં ફ્રાન્સ, ઓસ્ટ્રિયા, સ્વિત્ઝરલેન્ડ, ડેનમાર્ક અને લક્ઝમબર્ગનો સમાવેશ થાય છે. જર્મનીમાં પોઝિટિવ કેસની સંખ્યા 4838 થઈ છે. જાપાનમાં કોરોના વાઈરસના કુલ કેસ 839 થયા અને મૃત્યુઆંક 24 થયો છે. અમેરિકાના ન્યુયોર્ક સિટી અને લોસ એન્જલેસના મેયરે કહ્યું છે કે આ શહેરોમાં સિનેમાઘરો, તમામ નાઈટક્લબો અને નાના થિયેટરો કોરોના વાઈરસના પગલે બંધ કરેશે.

અમેરિકામાં કોરોના વાઈરસને ટક્કર આપવા માટે શક્ય તેટલા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સોમવાર સવાર સુધીમાં અહીં કુલ 3,737 કેસ સામે આવ્યા હતા. અહીં 68 લોકોના મોત થયા છે. ન્યૂયોર્ક સહિત 29 રાજ્યોમાં પણ સ્કૂલ આગામી આદેશ સુધી બંધ કરી દેવામાં આવી છે. અમુક રાજ્યોમાં કોલેજો પણ બંધ કરી દેવામાં આવી છે. નેવી શિપ યુએસએસ બોક્સર પર એક સૈનિકને કોરોના પોઝિટિવ જોવા મળ્યો છે. ઉપરાષ્ટ્રપતિ માઈક પેન્સના જણાવ્યા પ્રમાણે, સોમવારથી બે હજાર હાઈસ્પીડ લેબનું કામ શરૂ કરવામાં આવશે.

તેનાથી ઈન્ફેક્ટેડ લોકોની ઓળખ અને સારવાર વધારે સરળ થઈ જશે. અહીં હેલ્થ ઈમરજન્સી પહેલાં જ જાહેર કરી દેવામાં આવી છે. લેબનાને તેમના દરેક એરપોર્ટ બંધ કરી દીધા છે. સીમાઓ અને પોર્ટ પર બે સપ્તાહ સુધી કોઈ આવાગમન નહીં થાય. સૂચના મંત્રી મન્નાન અબ્દુલ સમદના જણાવ્યા પ્રમાણે, બહુ જરૂરી ન હોય ત્યાં સુધી લોકો ઘરમાંથી બહાર નીકળવાનું ટાળે. અમુક અન્ય દિશા-નિર્દેશ પણ ટાળવામાં આવ્યા છે.

લોકોને કહેવામાં આવ્યું છે કે, લોકડાઉનના નિયમોનું કડક રીતે પાલન કરવું. અહીં સોમવાર સુધી 100 લોકો ઈન્ફેક્ટેડ નોંધાયા છે. કુલ 3 લોકોના મોત થયા છે. કોરોના મહામારીએ સર્વોચ્ચ ઈસાઈ ધર્મગુરુ પોપ ફ્રાન્સિસને પણ ચિંતિત કરી દીધા છે. પોપ રવિવારે બપોરે વેટિકનથી નીકળીને રોમના ખાલી રસ્તાઓ પર જોવા મળ્યા હતા. વેટિકનના એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, પોપ રોમના રસ્તાઓ પર નીકળ્યા હતા. તેઓ બે એવી જગ્યાઓ પર ગયા હતા જ્યાં શ્રદ્ધાળુઓ જાય છે. રવિવારે વેટિકનમાં આવેલું સેન્ટ પીટર્સ સ્ક્વેર ચર્ચ પણ ખાલી જોવા મળ્યું હતું.