ગુજરાત સરકારમાં ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ મીડિયામાં ‘ગુજરાતમાં મૃત્યુના આંકડા સરકાર છૂપાવે છે. ૭૧ દિવસમાં ૧.ર૩ લાખ ડેથ સર્ટીફીકેટ ઇસ્યુ થયાં’ એવા પ્રસિદ્ધ થયેલા સમાચારને હકીકતલક્ષી વિગતોથી તદ્દન જુદા અને આધારવિહીન ગણાવ્યા છે. તેમણે આ સંદર્ભમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે, આ અહેવાલમાં મરણ પ્રમાણપત્ર-ડેથ સર્ટીફીકેટને આધાર બનાવીને જે મૃત્યુની સંખ્યા ગણવામાં આવી છે તે યોગ્ય નથી તેમજ તેની સરખામણી કોવિડ-૧૯થી થયેલા મૃત્યુ સાથે કરવામાં આવી છે તે પણ અયોગ્ય છે. તેમણે આ અંગે શનિવારે ગાંધીનગરમાં મીડિયા સાથેની ચર્ચામાં સ્પષ્ટપણે જણાવ્યું કે, ગુજરાતમાં મરણ નોંધણી પ્રમાણપત્ર અને ડેથ સર્ટીફીકેટ ઓનલાઇન આપવાની પારદર્શી પદ્ધતિ વિકસાવવામાં આવેલી છે. ગૃહ પ્રધાને કહ્યું કે, જયારે કોઇ પરિવાર-કુટુંબમાં મોભીનું કે, સ્વજનનું મૃત્યુ થાય ત્યારે તેમને મરણ પ્રમાણપત્રની બેંક, ઇન્સ્યોરન્સ, એલ.આઇ.સી. જેવી વિવિધ બાબતો માટે જરૂર પડતી હોય છે. સ્વજનના મૃત્યુના દુ:ખદ સમયે ઘર-પરિવારને આ ઓનલાઇન પદ્ધતિથી ઘરે બેઠાં સરળતાથી પ્રમાણપત્ર મળી રહે તેવી સંવેદનાશીલતા સાથે આ પારદર્શી પદ્ધતિ વિકસાવવામાં આવેલ છે અને વિવિધ વિષયો માટે ડેથ સર્ટીફીકેટની જરૂર પડતી હોય તેવા સંજોગોમાં કોઇવાર એક જ મૃત્યુના કિસ્સામાં એકથી વધુ વખત રજીસ્ટ્રેશન થયું હોય તેવી શક્યતા નકારી શકાતી નથી. આના પરિણામે, ઇશ્યુ ડેથ સર્ટીફીકેટ અને થયેલ મૃત્યુની સંખ્યામાં તફાવત હોઇ શકે છે. એટલું જ નહીં, પરિવારમાં થયેલ મૃત્યુથી શોકમગ્ન પરિવારો અન્ય વિધિઓ, રીત-રિવાજો વગેરેને કારણે મૃત્યુ થયાના સમયે જ મરણ નોંધણી પ્રમાણપત્ર માટે રજીસ્ટ્રેશન કરાવી ન જ શકે તે સ્વાભાવિક છે. આમ, મૃત્યુ સમય, રજીસ્ટ્રેશન અને પ્રમાણપત્ર ઇશ્યુ થવું એ ત્રણેય બાબતો અલગ અલગ છે. તેને એકસાથે સાંકળીને મીડિયામાં જે સંખ્યા બતાવાઇ છે અને નિષ્કર્ષ-તારણ દર્શાવાયા છે તે બિલકુલ અનુચિત અને અયોગ્ય છે.
આવા સમયે લોકશાહીના ચોથા સ્થંભ ગણાતા પ્રચાર માધ્યમોના આવા આધારવિહીન અને સત્યથી વેગળા અહેવાલોથી લોકોમાં બિનજરૂરી પેનિક ભય-ડરનો માહોલ ઉભો થવાની શકયતાઓ રહેલી છે. હકીકતે કોરોના સંક્રમણ નિયંત્રણ માટેના રાજ્ય સરકાર, લોકો અને સંગઠનોના પ્રયાસોમાં સહયોગ આપી જનહિતમાં સમાજ દાયિત્વ પ્રચાર માધ્યમોએ નિભાવવું જોઇએ, તેવી અપીલ પણ ગૃહ પ્રધાને કરી હતી.