(Photo by JUSTIN TALLIS/AFP via Getty Images)

તમિળ ફિલ્મોના જાણીતા એક્ટર ધનુષ અને સુપરસ્ટાર રજનીકાંતની પુત્રી ઐશ્વર્યા લગ્નજીવનનાં 18 વર્ષ પછી એકબીજાથી અલગ થઈ ગયાં છે. બંને સેલિબ્રિટીએ મંગળવારે સોશિયલ મીડિયામાં આ અંગેની જાહેરાત કરી હતી. ઐશ્વર્યા અને ધનુષે 18 નવેમ્બર, 2004માં લગ્ન કર્યા હતા. બંનેને યાત્રા રાજા અને લિંગા રાજા એમ બે દીકરાઓ પણ છે.

ધનુષે છૂટાછેડા વિશે સોશિયલ મીડિયા પર લખ્યું, ‘મેં અને ઐશ્વર્યાએ એક કપલ તરીકે અલગ થવાનો નિર્ણય લીધો છે. અમે પોતાને સારી રીતે સમજવા માટે સમય આપવા ઇચ્છીએ છીએ. અમારા નિર્ણયનું સન્માન કરો અને અમારી પ્રાઈવસીનું ધ્યાન રાખો. ઓમ નમોશિવાય! પ્રેમ ફેલાવતા રહો’.

ઐશ્વર્યાએ પણ પોસ્ટ શેર કરીને લખ્યું હતું કે માત્ર તમારી સમજણ અને પ્રેમની જરૂર છે.ધનુષે ઐશ્વર્યાની ડિરેક્ટોરિયલ ડેબ્યૂ ‘3’માં કામ કર્યું હતું અને ફિલ્મનું સોન્ગ ‘કોલાવેરી ડી’ રાતોરાત હિટ થયું હતું. ધનુષ છેલ્લે આનંદ એલ. રાયની ફિલ્મ ‘અતરંગી રે’માં સારા અલી ખાન અને અક્ષય કુમાર સાથે જોવા મળ્યો હતો. ફિલ્મમાં તેની એક્ટિંગની ઘણી પ્રશંસા થઈ હતી.
રજનીકાંતની બીજી દીકરી સૌંદર્યાના પણ ડિવોર્સ થઈ ચૂક્યા છે. સૌંદર્યાએ બિઝનેસમેન અશ્વિન સાથે લગ્ન કર્યા હતા અને 2017માં તેઓ અલગ થયા હતા.