ચાલુ વર્ષે ચોમાસાની સિઝનમાં વરસાદ ખેંચાતા ગુજરાતની માથે ગંભીર જળસંકટની ઊભું થવાના એંધાણ છે. રાજ્યમાં સામાન્ય રીતે સૌથી વધુ વરસાદ લાવતો ઓગસ્ટ મહિનો પણ અત્યાર સુધી લગભગ કોરો રહ્યો છે. રાજ્યમાં સામાન્ય કરતાં આશરે 60 ટકા ઓછો વરસાદ આવ્યો છે.

સરદાર સરોવર ડેમમાં હાલ 50 ટકા કરતા પણ ઓછું પાણી છે. જે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ડેમ 20 મીટર જેટલો ખાલી હોવાનું જાણવા મળ્યું છે.

છેલ્લા બે વર્ષાં સારો વરસાદ પડતા નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર પર પહોંચી હતી અને ડેમના 27 દરવાજા ખોલવાની ફરજ પડી હતી. પરંતુ આ વર્ષે પરિસ્થિતિ વિપરીત છે. ડેમમાં પાણી ઓછું હોવાને કારણે નર્મદા ડેમમાંથી રાજ્યને ઓગસ્ટના અંત સુધી જ સિંચાઈનું પાણી મળશે. ડેમમાં પીવાનું પાણી 30 સપ્ટેમ્બર સુધી અનામત રાખવાનો નિર્ણય નર્મદા કંટ્રોલ ઓથોરિટીએ કર્યો છે, જ્યારે બાકીનું પાણી ખેડૂતોનો ઉભો પાક બચાવવા સિંચાઈ માટે આપવાની જાહેરાત કરવામાં આવી છે.

ગુજરાતમાં વરસાદની સીઝનના બે રાઉન્ડ બાદ પણ વરસાદની મોટી ઘટ છે. જો આગામી એક અઠવાડિયામાં વરસાદ ના થયો તો રાજ્યમાં સત્તાવાર દુષ્કાળ જાહેર કરવો પડે તેવી સ્થિતિ ઉભી થઈ શકે છે. આંકડા પર નજર કરીએ તો રાજ્યના 110 તાલુકામાં 10 ઈંચથી પણ ઓછો વરસાદ વરસ્યો છે. જેમાં બે તાલુકામાં પાંચ ઈંચથી પણ ઓછો વરસાદ નોંધાયો છે. વેધર વોચ ગ્રુપની બેઠકમાં રાહત કમિશનરે જણાવ્યું હતું કે, રાજ્યમાં અત્યાર સુધી 24 ઓગસ્ટ સુધીમાં 350 મીમી વરસાદ નોંધાયો છે જે પાછલા 30 વર્ષની સરખામણીએ ઓછો છે.