new president of the Congress
કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી (PTI Photo/Kamal Singh)

પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પછી કોંગ્રેસમાં આંતરિક વિખવાદ વધી રહ્યો છે. બુધવારે કોંગ્રેસના અસંતુષ્ટ નેતાઓના ગ્રૂપ (જી-23)એ એક અલગ બેઠક કરી હતી અને પોતાની રણનીતિ તૈયાર કરી હતી. રાજ્યસભાના વિપક્ષના પૂર્વ નેતા ગુલામ નબી આઝાદના ઘરે મળેલી આ બેઠકમાં શંકરસિંહ વાઘેલા, કપિલ સિબ્બલ, આનંદ શર્મા, મનીષ તિવારી, શશિ થરૂર અને ઘણા અન્ય નેતા સામેલ થયા. સૂત્રોનું કહેવું છે કે, જી-23ના નેતાઓએ ઘણા એવા નેતાઓને પણ આમંત્રણ આપ્યું હતું, જે આ જૂથનો ભાગ નથી, પરંતુ પાર્ટીની અંદર પરિવર્તન ઈચ્છે છે.

જી-23ના નેતાઓની આ બેઠકના ત્રણ દિવસ પહેલા ગત રવિવારે કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠક મળી હતી, જેમાં પાર્ટી નેતાઓએ સોનિયા ગાંધી નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને તેમને આગ્રહ કર્યો હતો કે, તેઓ કોંગ્રેસને મજબૂત કરવા જરૂરી પગલાં ઉઠાવે. ઉલ્લેખનીય છે કે, આ બેઠક એ દ્રષ્ટિએ પણ મહત્વની થઈ જાય છે કે, રવિવારે સીડબલ્યુસીની બેઠકમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ યુવાનો પર ફોકસ કરવાની વાત કરી હતી અને જી-23માં મોટાભાગના નેતાઓ મોટી ઉંમરના છે. એ રીતે રાહુલ ગાંધીની યુવાનો પર ફોકસ કરવાની વાતને એક રીતે આ ગ્રુપ પર કટાક્ષ તરીકે જોવામાં આવી રહી હતી.

જી-23ના અગ્રણી સભ્ય અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન કપિલ સિબલે ઈન્ટર્વ્યુમાં કહ્યું હતું કે, ગાંધી પરિવારે કોંગ્રેસનું નેતૃત્વ છોડી દેવું જોઈએ અને કોઈ અન્યને તક આપવી જોઈએ. કોંગ્રેસમાં મોટા પરિવર્તનની માગ કરી રહેલા આ જૂથ પર ગાંધી પરિવારના નેતાઓએ પણ નિશાન સાધવાનું વધારી દીધું છે. કોંગ્રેસના સીનિયર નેતા મલ્લિકાર્જુન ખડગે આરોપ લગાવ્યો કે, કોંગ્રેસ કાર્ય સમિતિની બેઠક પછી પણ જી-23 જૂથના નેતા વારંવાર બેઠકો કરી પાર્ટીને તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે, આખી કોંગ્રેસમાં કોઈપણ પક્ષ પ્રમુખ સોનિયા ગાંધીને કોઈ નબળાં કરી શકે તેમ નથી અને પાર્ટીના બધા લોકો તેમની સાથે છે.