ફિલ્મકાર ફરાહ ખાને એક કોરિયોગ્રાફર તરીકે પોતાની કારકિર્દી શરૂ કરી હતી, પછી તે ફિલ્મ દિગ્દર્શક બની અને હવે તે એક યૂટ્યુબર છે. તે પોતાના કૂક દિલીપ સાથે વિવિધ સેલેબ્રિટીના ઘેર જઈને અલગ અલગ વાનગીઓ બનાવે છે અને તેમને ત્યાં પોતે બનાવેલી વાનગીઓ પણ લઈને જાય છે. તાજેતરમાં ફરાહ ખાન કાજોલ અને ટ્વિંકલના ઓટીટી શો પર આવી હતી. તેણે પોતાની યૂટ્યુબ સફર વિશે આ શો પર વાત કરી હતી.
ફરાહે કહ્યું તે તેની પાસે કોઈ ફિલ્મ નહોતી અને દિગ્દર્શન કામ પણ નહોતું. તેથી તેણે નક્કી કર્યું કે તે યૂટ્યુબમાં કન્ટેન્ટ બનાવવાનો પ્રયાસ કરશે. ફરાહે કબુલ્યું કે તેણે ત્રણ બાળકોને કોલેજમાં ભણાવવાના છે અને શિક્ષણ બહુ જ મોંઘું છે. તેથી આ પડકારને પહોંચી વળવા તેણે આ વિકલ્પ અપનાવ્યો. ફરાહે કહ્યું, “ત્યારે હું કોઈ ફિલ્મ પણ કરતી નહોતી, હું કંઇ ડિરેક્ટ પણ કરતી નહોતી, મને થયું ચલો યૂટ્યુબ કરીએ. મારે ત્રણ બાળકો પણ છે, જેને આવતા વર્ષે યુનિવર્સિટી મોકલવાના છે અને તે અતિશય મોંઘું છે. તેથી મને થયું થોડાં પરિવર્તન માટે મેં યૂટ્યુબ પર શો શરૂ કર્યો અને એ ચાલી ગયો.” ફરાહે એમ પણ કહ્યું કે, તે આજીવન કામ કરતી રહેવા ઇચ્છે છે. તેણે કહ્યું, “તમારું જીવન અન્ય વ્યક્તિની આસપાસ ન ફરવું જોઈએ. મને લાગે છે, તમને તમારી અંદરથી કે તમારા કામથી ખુશી મળવી જોઈએ. મને લાગે છે હું તો 80 વર્ષની થઉં ત્યાં સુધી કામ કરવા ઇચ્છું છું કારણ કે મારું કામ મારા દેખાવ પર કે મારા શરીર પર આધારિત રહ્યું જ નથી.”

LEAVE A REPLY