Getty Images)

કોરોના વાયરસનો આતંક ઘટવાની જગ્યાએ દિવસેને-દિવસે વધી જ રહ્યો છે. બે મહિનાના લોકડાઉન બાદ તેમાં આપવામાં આવેલી છૂટછાટ બાદ કોરોનાનો કહેર દિવસેને દિવસે ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે મંગળવારના રોજ દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને 276583 સુધી પહોંચી ગયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન 9985 નવા કેસ સાથે કોરોનાનો અત્યાર સુધીનો સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો છે. જોકે, એક સારી બાબત એ પણ છે કે ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે.

ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ 48.88 ટકા સુધી પહોંચી ગયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 5991 લોકો સ્વસ્થ્ય થયા છે. આ સાથે જ આ આંકડો વધીને 135306 સુધી પહોંચી ગયો છે જે કોરોનાના એક્ટીવ કેસ કરતા વધારે થઈ ગઈ છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 279 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ કોરોના વાયરસના કારણે મોતને ભેટનાર લોકોની સંખ્યા વધીને 7745 સુધી પહોંચી ગઈ છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે મંગળવાર સવાર સુધીમાં દેશભરમાં કોરોના વાયરસના 133632 એક્ટિવ કેસ છે.

મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 90787 કેસ નોંધાયા છે જ્યારે 3289 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મહારાષ્ટ્ર બાદ તમિલનાડૂમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ નોંધાયા છે. તમિલનાડૂમાં અત્યાર સુધીમાં કુલ 34914 કેસ નોંધાઈ ચૂક્યા છે જેમાંથી 307 લોકો કાળનો કોળિયો બની ગયા છે. ત્યારબાદ દિલ્હીમાં 31309 કેસ નોંધાયા છે જ્યારે 905 લોકોએ જીવ ગુમાવ્યા છે. ગુજરાતમાં 21044 લોકો સંક્રમણમાં આવ્યા છે 1313 લોકોના મોત થયા છે.

દુનિયાભરમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં 7232901 કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી 411172 લોકોના મોત નિપજ્યા છે જ્યારે 3370905 લોકો સ્વસ્થ્ય થવામાં સફળ થયા છે. સમગ્ર દુનિયામાં અત્યારે 3450824 કેસ એક્ટિવ છે. ભારત દેશમાં સતત વધી રહેલા કેસના કારણે દુનિયામાં સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં છઠ્ઠા ક્રમાંક પર પહોંચી ગયો છે. જ્યારે સ્વસ્થ્ય થયેલા દર્દીઓની યાદીમાં ભારત અમેરિકા, બ્રાઝીલ, રશિયા, જર્મની, ઈટાલી, સ્પેન, ઈરાન, તુર્કી બાદ નવમાં ક્રમ પર છે.