નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એનજીટી)એ વિશાખાપટ્ટનમમાં ગુરુવારે થયેલી ગેસ ગળતરની ઘટનામાં કેન્દ્ર, એલજી પોલીમર્સ ઈન્ડિયા પ્રા., કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તેમજ અન્યને શુક્રવારે નોટિસ ફટાકરી છે. વિશાખાપટ્ટનમાં બનેલી આ ગોઝારી ઘટનામાં 11 લોકોના મોત થયા હતા તેમજ 1,000 જેટલા લોકો ગેસ ગળતરથી પ્રભાવિત થતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.

એનજીટીએ એલજી પોલીમર્સ ઈન્ડિયા પ્રા.ને મૃતકોને વચગાળાના વળતર પેટે 50 કરોડ જમા કરાવવા પણ આદેશ કર્યો છે. એનજીટીના અધ્યક્ષ જસ્ટિસ આદર્શ કુમાર ગોયલના વડપણ હેઠળ પાંચ સભ્યોની બેન્ચનું ગઠન કરાયું છે જેમાં જસ્ટિસ બી શેષાયાન રેડ્ડીનો સમાવેશ થાય છે.

આ બેન્ચ ગેસ ગળતરની ઘટનાની તપાસ કરી 18મી મે સુધીમાં રિપોર્ટ આપશે.લોકોના જીવ, જાહેર સ્વાસ્થ્ય તેમજ પર્યાવરણને નુકસાન પહોંચાડવાના પ્રાથમિક અંદાજ સાથે અમે એલજી પોલીમર્સ પ્રા લિ.ને વચગાળા માટે 50 કરોડના વળતરની રકમ જમા કરાવવા આદેશ કરીએ છે. આ રકમ વિશાખાપટ્ટનમના જિલ્લા મેજિસ્ટ્રેટ પાસે જમા કરાવવાની રહેશે. આ રકમ કંપનીની નાણાકીય શાખ અને થયેલા નુકસાનને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવી હોવાનું એનજીટીએ ઓર્ડરમાં જણાવ્યું હતું.