ભારતમાં પોર્ટ-આધારિત વિકાસને મજબૂત કરવા માટેના એક મહત્વપૂર્ણ પગલામાં, કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ પ્રધાન સર્બાનંદ સોનોવાલે કંડલાના દીનદયાળ પોર્ટ ઓથોરિટી ખાતે LC-235 પર રોડ ઓવર બ્રિજ (ROB) ના નિર્માણને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ ₹132.51 કરોડ છે.
આ પ્રોજેક્ટ ભારત સરકારના ફ્લેગશિપ સાગરમાલા કાર્યક્રમનો એક અભિન્ન ભાગ છે. જેનો હેતુ દેશભરમાં મલ્ટિ-મોડલ કનેક્ટિવિટી અને લોજિસ્ટિક્સ કાર્યક્ષમતા વધારવાનો છે. આ નિર્માણ હાલમાં પશ્ચિમ રેલવે દ્વારા હાથ ધરવામાં આવી રહ્યું છે. આ પ્રસંગે સર્બાનંદ સોનોવાલે કહ્યું, “દીનદયાળ પોર્ટ પરનો ROB મહત્વપૂર્ણ અડચણો દૂર કરશે, કાર્ગોની અવરજવરમાં સુધારો કરશે અને ભારતની લોજિસ્ટિક્સ કાર્યક્ષમતાને મજબૂત બનાવશે. વિશ્વ-સ્તરીય બંદર માળખાગત સુવિધાઓ બનાવવા અને વૈશ્વિક મેરીટાઇમ હબ તરીકે ભારતની સ્થિતિને મજબૂત કરવા તરફનું આ એક નિર્ણાયક પગલું છે.” આ પ્રસ્તાવનું તાજેતરમાં બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના સચિવના અધ્યક્ષપદ હેઠળ મળેલી બેઠકમાં ડેલિગેટેડ ઇન્વેસ્ટમેન્ટ બોર્ડ (DIB) દ્વારા મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. આધુનિક સુરક્ષા ધોરણો અને તકનીકી વિશિષ્ટતાઓનું પાલન સુનિશ્ચિત કરવા માટે પ્રોજેક્ટના સુધારેલા ખર્ચની તપાસ કરવામાં આવી હતી.














