મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વિશ્વ પર્યાવરણ દિવસે ગુજરાતની આગવી પહેલ રૂપ ‘સ્ટેટ એકશન પ્લાન ઓન કલાયમેટ ચેન્જ’ લોન્ચ કરીને ગુજરાતને આ ક્ષેત્રે પ્રથમ રાજ્યનું ગૌરવ અપાવ્યું છે. મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના કલાયમેટ ચેન્જ વિભાગ દ્વારા IIM અમદાવાદ અને IIT ગાંધીનગરના તજજ્ઞોના સહયોગથી તૈયાર કરવામાં આવેલા સ્ટેટ એકશન પ્લાન ઓન કલાયમેટ ચેન્જ અને કોવિડ-19 ની રાજ્યના વિવિધ ક્ષેત્રો પર પડેલી અસરો અંગેના અહેવાલનું વિમોચન ગાંધીનગરમાં સંપન્ન કર્યુ હતું.
ગુજરાત સ્ટેટ એકશન પ્લાન ઓન કલાયમેટ ચેન્જમાં ર૦૩૦ સુધીમાં રાજ્યમાં કલાયમેટ ચેન્જ અનુકુલન, શમનના આયોજન અને પગલાંઓનો સમન્વય કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આ અહેવાલ અને સ્ટેટ એકશન પ્લાનનો વિમોચન કરતાં સ્પષ્ટપણે જણાવ્યું કે ગુજરાત કલાયમેટ ચેન્જના પડકારોને હલ કરવાના લાંબાગાળાના એકશન પ્લાનને અમલમાં મૂકનારૂં ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બનશે.
તેમણે કહ્યું કે, પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પર્યાવરણ અને કલાયમેટ ચેન્જ અંગે દાખવેલી પ્રતિબદ્ધતાને આપણે આગળ ધપાવી સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ કર્યુ છે. શ્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, ગુજરાત ૧૬૦૦ કિ.મી. લાંબો દરિયા કિનારો, વનો, પર્વતો, રણ જેવી અનેક વિવિધતા ધરાવતો પ્રદેશ છે. કલાયમેટ ચેન્જના કારણે કુદરતી વાવાઝોડા, હિટવેવ, વ્યાપક વરસાદ જેવી સ્થિતીનો સામનો આપણે કરતા આવ્યા છીયે તેની ભૂમિકા મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.
મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે, ગુજરાતે પર્યાવરણ જાળવણી, રક્ષા માટે સૌર અને પવન ઊર્જા, ઇલેકટ્રીક વાહનોના ઉપયોગ પર વિશેષ ઝોક આપ્યો છે. રાજ્યમાં નવા થર્મલ પાવર પ્લાન્ટસ શરૂ કરવાની મંજૂરીઓ હવે ન આપવા સાથે નવ હજાર મેગાવોટ પવન અને પાંચ હજાર મેગાવોટ સૌર ઊર્જા ઉત્પન્ન કરી ગ્રીન-કલીન એન્વાયરમેન્ટને સાકાર કર્યુ છે એમ તેમણે કહ્યું હતું.
તેમણે ઉમેર્યુ કે, ગુજરાત આવનારા દિવસોમાં ૩૦ ગીગાવોટ સૌર અને પવન ઊર્જાનું ઉત્પાદન કરીને આ ક્ષેત્રે પણ અગ્રેસર રહેશે. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, કલાયમેટ ચેન્જ અને પૂન: પ્રાપ્ય ઊર્જા ક્ષેત્રે ગુજરાતે આગવી પહેલો કરી છે. જળ સંરક્ષણ, રિસાયકલીંગ ઓફ વોટર, રિયુઝ ઓફ ટ્રીટેડ વોટર દ્વારા જળ શુદ્ધિના આયામો અપનાવ્યા છે.
રાજ્યમાં પ્રદૂષણમુકત યાતાયાત સુવિધાઓ માટે CNG વાહનોને તેમજ ઇલેકટ્રીક વાહનોને પ્રોત્સાહન અપાય છે. ૯ હજાર CNG ફિલીંગ સ્ટેશન ઊભા કરી વધુને વધુ લોકો CNG વાહનોનો વપરાશ કરે પ્રદૂષણ અટકે તેવી નેમ રાખી છે. ઇલેકટ્રીક વાહનોના વપરાશ માટે પણ પોલીસી ઘડી છે. શ્રી વિજયભાઇ રૂપાણીએ એમ પણ કહ્યું કે, ઊર્જા બચત, જળસંરક્ષણ, વનીકરણ, આપત્તિ વ્યવસ્થાપન એમ બહુધા ક્ષેત્રોમાં કલાયમેટ ચેન્જના પડકારો સામે સજ્જ થવા આપણે ફોકસ કર્યુ છે.
સોલાર રૂફટોપ પોલીસી, બેટરી સંચાલિત વાહનો, ઊર્જા ઓડિટ અને કલામેટ ચેન્જ સામે જનજાગૃતિના આયામો ગુજરાતે પહેલરૂપે અપનાવ્યા છે. દેશના કુલ સોલાર રૂફટોપમાં રપ ટકા એકલા ગુજરાતમાં છે ૧.૧૧ લાખ ઘરોને આવરી લેવાયા છે. એટલું જ નહિ, ૧૭ મિલીયન ટન કાર્બન ઉર્ત્સજનમાં ઘટાડો તેમજ ૧ર.૩ મિલીયન ટન કોલસાની બચત ગુજરાતે ઊર્જા ક્ષેત્રોમાં આવા સૌર-પવનના સ્ત્રોત અપનાવીને કરી છે એમ તેમણે ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ભારત સરકારે કલાયમેટ ચેન્જના નિયત કરેલા લક્ષ્યાંકો અનુસાર ગુજરાતનો આ નવો સ્ટેટ એકશન પ્લાન આવનારા ૧૦ વર્ષ એટલે કે ર૦૩૦ સુધીના સમયગાળાને અનુલક્ષીને તૈયાર કરવામાં આવેલો છે. આ એકશન પ્લાનમાં રિન્યુએબલ એનર્જી, એનર્જી સેવિંગ, વોટર કન્ઝર્વેશન, વનીકરણ, સાગરકાંઠા વિસ્તારો, આદિજાતિ ક્ષેત્રો, પશુપાલન, ખેતી, આરોગ્ય જેવા વિવિધ પાસાંઓને આવરી લેવાયા છે એમ તેમણે ઉમેર્યુ હતું.