પ્રતિક તસવીર (ANI Photo)

ગુજરાતમાં સોમવારે ઓમિક્રોન વેરિયન્ટને નવા ૧૬ કેસ નોંધાયા હતા. આ સાથે જ રાજ્યમાં ઓમિક્રોનના કુલ કેસ હવે ૧૫૨ થઇ ગયા હતા. રાજ્યમાં નોંધાયેલા ઓમિક્રોનના કુલ પૈકીના અડધોઅડધ કેસ માત્ર છેલ્લા ૭ દિવસમાં સામે આવ્યા છે.

આરોગ્ય વિભાગની સોમવારની માહિતી મુજબ છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ શહેરમાંથી ૬ પુરુષ-૧ મહિલા સાથે સૌથી વધુ ૭, વડોદરા શહેર તેમજ આણંદમાં બે પુરુષ સાથે ૨-૨,જામનગર શહેરમાંથી ૧ પુરુષ-૧ મહિલા સાથે ૨, કચ્છમાં ૧ પુરુષ, સુરત-ખેડામાં ૧-૧ મહિલા ઓમિક્રોન સંક્રમિત થયા હતા. આ પૈકી અમદાવાદમાંથી ૨ જ્યારે કચ્છ-સુરતમાંથી ૧-૧ વ્યક્તિની ટ્રાવેલ હિસ્ટ્રી નહીં હોવા છતાં ઓમિક્રોન સંક્રમિત થઇ છે.

રાજ્યમાં ઓમિક્રોનના ૧૫૨ કેસમાંથી ૮૫ દર્દી સાજા થયા છે. આમ, હાલમાં ૬૭ એક્ટિવ કેસ છે. અમદાવાદમાં ૫૭માંથી ૨૪, વડોદરામાં ૨૫માંથી ૨૦, સુરતમાં ૧૭માંથી ૧૨, આણંદમાં ૧૫માંથી ૭ દર્દી ઓમિક્રોનથી સાજી થઇ ચૂકી છે. અમદાવાદમાં ઓમિક્રોનના સૌથી વધુ ૩૩ એક્ટિવ કેસ છે.

ગુજરાતમાં સોમવારે કોરોના વાયરસના નવા 1,259 કેસો નોંધાયા હતા અને ત્રણ વ્યક્તિના મોત થયા હતા. રાજ્યમાં 151 દર્દીઓ સાજા થયા હતા. રાજ્યમાં એક્ટિવ કેસો વધી 5858 થયા હતા, જેમાં 16 દર્દી વેન્ટિલેટર પર જ્યારે 5842 દર્દીઓ સ્ટેબલ હતા. જામનગર શહેરમાં 2 અને નવસારીમાં એક દર્દી મળીને કુલ 3 દર્દીના મોત નીપજ્યા હતા.રાજ્યમાં કોરોના વાયરસના કારણે વધુ 3 દર્દીના મોત થતાં કુલ મૃત્યુઆંક 10,123 પર પહોંચ્યો હતો. રાજ્યમાં આજે 15થી 18 વર્ષના વ્યક્તિઓનું રસીકરણ શરૂ કરવામાં આવ્યું કે જેમાં કુલ 4,94,317 રસીના ડોઝ અપાયા હતા.

સોમવારે અમદાવાદ કોર્પોરેશનમાં 631, સુરત કોર્પોરેશનમાં 213, વડોદરા કોર્પોરેશનમાં 68, વલસાડમાં 40, રાજકોટ કોર્પોરેશનમાં 37, આણંદમાં 29, ખેડા અને રાજકોટ જિલ્લામાં 24-24, ગાંધીનગર કોર્પોરેશનમાં 18, ભાવનગર કોર્પોરેશનમાં 17, ભરૂચ અને નવસારીમાં 16-16, અમદાવાદમાં 13, મહેસાણા-મોરબી-સુરત જિલ્લામાં 12, કચ્છમાં 11 નવા કેસો નોંધાયા હતા.