ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે કોરોના વાયરસને કારણે મૃત્યુ પામેલા મૃતકોની ઓટોપ્સી કરવાના અત્યંત વિચિત્ર નિર્ણયનો અમલ પણ શરૃ કરાવી દીધો છે. કોરોનાથી મૃત્યુ પામેલા ૫૦ વર્ષીય મહિલાની અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ઓટોપ્સી કરવામાં આવી હતી. આમ, કોરોનાથી મૃત્યુ પામનારા મૃતકોની ઓટોપ્સી શરૃ કરનારું દેશનું સૌપ્રથમ રાજ્ય બની ગયું છે. અલબત્ત, આગામી દિવસોમાં રીસર્ચના હેતુસર મર્યાદિત સંખ્યામાં ઓટોપ્સી કરાશે તેવો તંત્ર દ્વારા દાવો કરાયો છે.

કોરોનાથી મૃત્યુ પામનારાઓની ઓટોપ્સી કરવા નાયબ મુખ્યમંત્રી-આરોગ્ય મંત્રી નીતિન પટેલના વડપણ હેઠળની રીસર્ચ કમિટિએ ‘સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર્સ’ (એસઓપી) તૈયાર કરવા વરિષ્ઠ ડોક્ટરોને નિર્દેશ આપ્યો હતો.બી.જે મેડિકલ કોલેજના વરિષ્ઠ ડોક્ટરોને આ પ્રકારની ઓટોપ્સીની ગાઇડલાઇન તૈયાર કરવા સૂચના આપવામાં આવી હતી. કોરોનાના મૃતકોની ઓટોપ્સી તૈયાર કરવાનો ગત સપ્તાહની બેઠકમાં નિર્ણય લેવાયો હતો. જોકે, એ વખતે ફોરેન્સિક વિભાગના અનેક ડોક્ટરોએ કોરોનાના મૃતકોની ઓટોપ્સી કરવા સામે હોબાળો મચાવ્યો હતો.

જોકે, રીસર્ચના હેતુના ભાગરૃપે કોરોનાના મૃતકોની ઓટોપ્સી શરૃ કરાઇ હોવાનો તંત્ર દ્વારા દાવો કરાયો છે. તજજ્ઞાોનું માનવું છે કે, કોરોનાના મૂળ સુધી જવા માટે ક્લિનિકલ કે પેથોલોજીકલ ઓટોપ્સી ખૂબ જ જરૃરી છે. ચીન અને અમેરિકાથી પેથોલોજીના પણ તેમની ભૌગોલિક પરિસ્થિતિને કારણે અલગ પડે છે. જેના કારણે આપણે પણ આ મામલે આપણું અલાયદું સંશોધન શરૃ કરીએ તે જરૃરી છે. કોઇ પણ નવા જીવલેણ રોગમાં ઓટોપ્સી કરવી જરૃરી છે. જેનાથી એ જાણી શકાય છે કે તેનાથી કયા અંગને અને કેવી રતે નુકસાન થાય છે. ભવિષ્યના દર્દીને બચાવવા મૃત્યુના મુખમાંથી જતા બચાવવા માટે પણ માઇક્રોસ્કોપિક પરીક્ષણ જરૃરી છે.

જોકે, કેટલાક તજજ્ઞાોનું એમ પણ માનવું છે કે, ઓટોપ્સી ત્યારે જ કરવામાં આવવી જોઇએ જ્યારે મૃત્યુનું કારણ જાણી શકાયું ન હોય અને તેમાં પણ તેના પરિવારના સદસ્યોની મંજૂરી હોવી જરૃરી છે. આ ઉપરાંત કોરોનાના મૃતકની ઓટોપ્સી કરતા અગાઉ આપણા ફોરેન્સિક વિભાગના ડોક્ટરોને ઇન્ફેક્શનથી બચાવવા અદ્યતન સાધનો પણ પૂરા પાડવા જોઇએ. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાંથી આગામી દિવસોમાં કોરોનાના મૃતકોની ખૂબ જ મર્યાદિત સંખ્યામાં ઓટોપ્સી કરવામાં આવશે. આ ઓટોપ્સી કરતા અગાઉ પણ ઇન્ડિય કાઉન્સિલ ઓફ મેડિકલ રીસર્ચની માર્ગદર્શિકાનું પૂરું પાલન કરવામાં આવશે.