રાજ્યમાં સતત કોરોના પોઝિટિવ કેસોમાં વધારો થઇ રહ્યો છે. કોરોનાની અપડેટ વિગતો આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છેકે, રાજ્યમાં નવા 54 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 31 કેસ અમદાવાદમાં, 18 કેસ વડોદરામાં, 3 કેસ આણંદમાં, સુરત અને ભાવનગરમાં 1-1 નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 432એ પહોંચ્યો છે.

જ્યારે 19 લોકોના મોત નીપજ્યા છે. તો 34 લોકો સાજા થયા છે. આણંદ જિલ્લાના ખંભાતમાં એક પોઝિટિવ કેસ નોંધાયો છે. નોંધનીય છેકે, ક્લસ્ટર કરવામા આવેલા વિસ્તારોની સાથે સાથે હવે ભરૂચ જેવા નવા જિલ્લાઓમાં પણ કોરોના પોઝિટિવના કેસ નોંધાયા છે. હાલ ગુજરાતમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ સર્વે કરી રહ્યાં છે તે દરમિયાન 60,000 લોકો તાવ-શરદી-કફ જેવાં ઇન્ફ્લુએન્ઝા બિમારીના લક્ષણોવાળા જણાયાં હતાં. તો શ્વસનતંત્રની ગંભીર બિમારીઓ ધરાવતાં પણ કેટલાંક લોકો ધ્યાને આવ્યાં છે. આવાં લોકો પર આરોગ્યવિભાગની ખાસ નજર રહેશે. આ તમામ દર્દીઓને સંપૂર્ણપણે હોમ ક્વોરન્ટાઇનનું પાલન કરવાની સલાહ અપાઇ છે.