ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન નીતિનભાઈ પટેલે જણાવ્યું છે કે, દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ધદ્રષ્ટિ અને સમયબધ્ધ આયોજનના પરિણામે કોરોનાની રસીને નવા વર્ષમાં મંજૂરી મળી છે. ટૂંક સમયમાં રસી ઉપલબ્ધ થનાર છે ત્યારે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ રાજયના નાગરિકોને કોરોનાની વેકસીન આપવા માટે શકય હશે ત્યાં સુધી કોઈ ખર્ચ નાગરિકો પર આવવા દેવાશે નહી રસીનો સંપૂર્ણ ખર્ચ રાજય સરકાર ભોગવશે એવો નાગરિકોને વિશ્વાસ તેમણે આપ્યો હતો.
તેમણે ઉમેર્યુ કે,ઈમરજન્સી સમયે કોઈ દવા કે વેકસીન આપવા માટે વિશ્વમાં જે ટ્રાયલ રન થાય છે અને સફળ થયા હોય એને દુનિયાની મોટાભાગની સરકારો ઉપયોગ કરે છે. કોરોનાની રસી જેવી ઉપલબ્ધ બનશે કે તુર્તજ આ રસી રાજયના નાગરિકોને આપવા માટે મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળતી કોર કમીટીની બેઠકમાં આખરી ઓપ પણ આપી દેવાયો છે. આ માટે રાજય ના આરોગ્ય વિભાગે અન્ય વિભાગો સાથે સંકલન કરીને પ્રાથમિક તૈયારીઓ પણ પૂર્ણ કરી છે. પ્રથમ તબક્કામાં જે નાગરિકોને રસી આપવાની છે તેનું લીસ્ટ પણ તૈયાર કરાયું છે. કેન્દ્ર સરકારે પ્રથમ તબકકામાં રસી આપવા માટે ગુજરાતની પસંદગી કરી છે એનું મોકડ્રીલ પણ રાજયમાં કરી દેવાયું છે. વેકસીન આપવા માટે આરોગ્ય કર્મીઓને તાલીમ આપીને તાલીમબદ્ધ પણ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં પ્રથમ તબક્કામાં જે નાગરિકોને રસી આપવામાં આવનાર છે એમાં આરોગ્ય કર્મીઓ, ૫૦ વર્ષથી ઉપરના સીનીયર સીટીઝનો, ૫૦ વર્ષથી નચેની વય ધરાવતા ગંભીર રોગવાળા નાગરિકો અને ત્યારબાદ તબક્કાવાર સામાન્ય નાગરિકોને રસી આપવામાં આવશે.