રાજ્યમાં કોરોનાના નવા 176 કેસ નોંધાયા છે. જેમાં 143 કેસ એકલા અમદાવાદમાં નોંધાયા છે. આ મોટાભાગના કેસ હોટસ્પોટ વિસ્તારમાં નોંધાયા છે. ભાવનગરમાં વધુ ત્રણ પોઝિટિવ કેસ નોંધાતા રાજ્યમાં અત્યારસુધીમાં 1275 પોઝિટિવ કેસ થયા છે.

રાજ્યમાં વધુ સાત લોકોના મોત થયા છે. આ સાથે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 48 થયો હોવાનું આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છે. ગુજરાતના 33માંથી 8 જિલ્લા એવા પણ છે કે જ્યાં અત્યાર સુધીમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. એટલે કે કેસ વધ્યા જરૂર છે પણ કોરોનાને મર્યાદિત વિસ્તારમાં રોકી પણ લેવાયો છે.

ગુજરાતમાં કોરોના ફેલાવાની ઝડપ પણ ઘણી વધારે છે. રાજ્યમાં પહેલો કેસ 19 માર્ચે નોંધાયો હતો અને 18 એપ્રિલ સુધીમાં 1272 કેસ નોંધાઇ ચૂક્યા છે. ભારત સરકાર તરફથી ગુજરાતને 24,000 કોવિડ-19 રેપિડ ટેસ્ટિંગ કિટનો પ્રથમ જથ્થો શુક્રવારે મળ્યો છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચની ગાઈડલાઈન મુજબ કન્ટેઈનમેન્ટ ઝોન, હાઈ-રિસ્ક ઝોન અને અન્ય વિસ્તારોમાં ઝડપથી અને મોટા પાયે કોરોના સ્ક્રીનિંગ કરવામાં ખૂબ ઉપયોગી નીવડશે. રેપિડ ટેસ્ટીંગ કિટનો અન્ય જથ્થો ગુજરાત સરકારને આગામી 2-3 દિવસમાં પ્રાપ્ત થશે. આ રેપિડ ટેસ્ટીંગ કિટ દ્વારા પરિક્ષણમાં જે દર્દીઓ કોરોના પોઝિટીવ જણાય તેમનું ફરીવાર રેગ્યુલર RTPCR ટેસ્ટ દ્વારા પણ પરિક્ષણ કરવામાં આવશે તેમ આરોગ્ય સચિવ જયંતિ રવિ એ જણાવ્યું હતું