ગુજરાતમાં કોરોનાના કેર સતત વધી રહ્યો છે ત્યાં હવે વાવાઝોડાનું સંકટ ઘેરાયું છે. દક્ષિણ પૂર્વ નજીક પૂર્વમધ્ય અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થયું છે. 1 જૂન સુધીમાં લો પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થઇને ઉત્તર દિશા તરફ આગળ વધશે. બીજી જૂને ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થઇ અને 3 જૂનના ગુજરાતના દરિયાકિનારે પહોંચશે. જેના પગલે આગામી 4-5 જૂનના ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની પૂરી સંભાવના છે.

હવામાન વિભાગે ગુજરાત-મહારાષ્ટ્ર્માં ‘પ્રી સાયક્લોનિક એલર્ટ’ જારી કરેલી છે. દક્ષિણપૂર્વ અને તેને સંલગ્ન પૂર્વ-મધ્ય અરેબિયન સમુદ્રમાં સર્જાયેલું હળવું દબાણ આગામી 24 કલાકમાં ડિપ્રેશમાં ફેરવાઇ શકે છે અને ત્યારબાદના 24 કલાકમાં ‘નિસર્ગ’ ચક્રાવાતમાં ફેરવાય તેવી સંભાવના છે.

રવિવારે સવારે 5:30ના હવાનું હળવું દબાણ સર્જાયું હતું. આ સાયક્લોનિક સ્ટ્રોમ બીજી જૂને સવાર સુધીમાં ઉત્તર તરફ વધે અને ત્યારબાદ ઉત્તર-ઉત્તરપૂર્વ તરફની દિશા સાથે ત્રીજી જૂનની સવારે મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે પહોંચી શકે છે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘સાયક્લોનની તીવ્રતામાં વધારો થવાનો અમારો અંદાજ છે. રાજ્ય સરકાર પૂરતી તકેદારી રાખે તે હિતાવહ છે. આ સાયક્લોનની તીવ્રતા કેટલી હશે તે અંગે હાલમાં કંઇ પણ હવે મુશ્કેલ છે. અમદાવાદના હવામાન વિભાગે પણ ગુજરાતના બંદરોમાં ‘1 નંબરનું સિગ્નલ’ લગાવવા માટે સૂચના આપેલી છે. 4 જૂનના ગુજરાતના સમુદ્રમાં 90થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. જેના પગલે માછીમારોને 31 મે સુધીમાં પરત આવી જવા અને 4 જૂન સુધીમાં દરિયો નહીં ખેડવાની સલાહ આપવામાં આવેલી છે.

વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારે 3 જૂનના પહોંચવાની આગાહી છે. વાવાઝોડાની અસર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે થશે. હવામાન વિભાગે આગામી 4-5 જૂનના ભારેથી અતિભારે વરસાદની આગાહી કરેલી છે. હવામાન વિભાગે વધુમાં જણાવ્યું છે કે, ‘દક્ષિણપૂર્વ અને તેને સંલગ્ન અરેબિયન સમુદ્રમાં હવાનું હળવું દબાણ સર્જાયું છે.જે આગામી 24 કલાકમાં પૂર્વમધ્ય અને તેને સંલગ્ન દક્ષિણપૂર્વ અરેબિયન સમુદ્રમાં ડિપ્રેશનમાં ફેરવાઇ શકે છે. ‘આ સ્થિતિને પગલે દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં સોમવારથી જ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.