(PTI Photo)(PTI17-08-2020_000110B)

સમગ્ર ગુજરાત આ સપ્તાહના આરંભથી જ વરસાદી માહોલમાં તરબોળ બન્યું હતું અને દરેક વિસ્તારોમાં શ્રીકાર વર્ષાનો માહોલ જામ્યો છે. રાજ્યના 24 તાલુકામાં 4 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. 37 તાલુકામાં 3 ઇંચ કરતા વધારે વરસાદ, 56 તાલુકામાં 2 ઇંચ કરતા વધારે વરસાદ અને રાજ્યના 104 તાલુકામાં 1 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને પગલે 35 નદીઓ ઓવરફ્લો થઈ છે. રાજ્યમાં સિઝનનો સરેરાશ 83.59 ટકા વરસાદ નોંધાયો હતો.

રાજ્યમાં સપ્તાહના પ્રારંભે ચારેબાજુ જળબંબાકારની સ્થિતિ પ્રવર્તતી હતી. ગુજરાતમાં એકે ય એવી જગ્યા નથી કે જ્યાં વરસાદ ન પડ્યો હોય. રાજ્યના 234 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં નદી, નાળા પાણીથી છલકાયા છે, તો રોડ-રસ્તા અને ખેતરોમાં પણ પાણી ભરાયા છે.ગયા સપ્તાહને ભારે વરસાદ અને પૂરના કારણે રાજ્યના જુદા જુદા વિસ્તારો તણાઈ જવાથી કેટલાય લોકોના મોત નિપજ્યા હતા. સુરતમાં ખાડીના પાણી શહેરના કેટલાક વિસ્તારોમાં ફરી વળ્યા હતો, કેટલાકને સલામત સ્થળે ખસેડાયા હતા.

રાજ્યના સૌથી મોટા સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી સોમવારે, 121.30 મીટર પર પહોંચી ગઈ હતી. સોમવારે, 17 ઓગસ્ટે દિવસ દરમિયાન સૌરાષ્ટ્રમાં એશિયાટિક સિંહોના મુકામ ગીરના જંગલમાં આભ ફાટયું હોય તેમ ૧૫ ઇંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે સુરતના માંડવી તાલુકામાં ૧૦ કલાકમાં ૧૦ ઇંચ વરસાદ ખાબકતાં ઠેરઠેર પાણી ભરાયાં હતાં. આ સિવાય ગીર સોમનાથના તાલાલામાં સાડા સાત ઇંચ, તાપી જિલ્લાના ડોલવણમાં ૭ ઇંચ જ્યારે નવસારીના વાંસદામાં ૬.૬૮ ઇંચ વરસાદ વરસ્યો હતો.

તાપી જિલ્લના વાલોડ તાલુકામાં 16 કલાકમાં 10 ઇંચ વરસાદ પડતા આ વિસ્તાર પાણીમાં ગરકાવ થયો હતો. ગીર-સોમનાથ જિલ્લાના તાલાલામાં સોમવારે, 17 ઓગસ્ટે સાડા સાત ઇંચ અને કચ્છ જિલ્લાના માંડવીમાં સાત ઇંચ વરસાદ નોંધાયો હતો. જેના કારણે રાજ્યની મોટાભાગની નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે અને ડેમ ઓવરફ્લો થયા છે. જો કે હવે વરસાદ ધીમો નહીં પડે કે ઉઘાડ નહીં થાય તો ખરીફ પાકને નુકસાન થવાની ભીતિ છે.

સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વ્યાપક તેમજ રાજકોટ, મોરબી, પોરબંદર, જામનગર, અમરેલી જિલ્લામાં છૂટાછવાયા સ્થળે હળવાથી મધ્યમ વરસાદ વરસી ગયો હતો, જે પૈકી તાલાલામાં સાડા સાત ઈંચ, જોડિયામાં પાંચ અને કલ્યાણપુરમાં સાડા ત્રણ ઈંચ વરસાદતી ઠેર-ઠેર જળબંબાકાર જેવી સ્થિતિ થઈ જવા પામી હતી.
આવા અનેક વિસ્તારોમાં હવે વધુ વરસાદથી ખરીફ પાકને નુકશાન થવાની  ભીતિ છે ત્યારે આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતા વચ્ચે ચિંતાનું મોજું ફેલાયું છે.

તાલાલા શહેરમાં સાડા સાત ઈંચ, ગ્રામ્ય વિસ્તારોમાં દસ ઈંચ સુધી તથા જંગલમાં તો પંદર ઈંચ જેટલો વરસાદ પડતાં નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે. દક્ષિણ ગુજરાતમાં રવિવારે વરસાદે આરામ લીધો હતો પરંતુ સોમવારે સવારથી જ વરસાદે આક્રમક રૂપ ધારણ કર્યુ હતું અને 10.8 ઇંચ સુધીનો વરસાદ પડયો હતો.આ વિસ્તારની તમામ નદીઓમાં ઘોડાપૂર આવતા સુરત, તાપી અને નવસારી જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ ઉભી થતાં જનજીવન પ્રભાવિત થયું હતું.

સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં બલેશ્વર નેશનલ હાઇવે નં.48 પર પાણી ફરી વળતા વાહન વ્યવહારને અસર થઇ હતી. અનેક મુખ્ય અને આંતરિક માર્ગો પાણીમાં ગરક થયા હતા. સુરતના માંડવી અને તાપીના વાલોડમાં 10 ઇંચ વરસાદ નોંધાયો હતો.  સુરત જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટીંગ કરતા સર્વત્ર પાણી-પાણી થઇ ગયું હતું અને માંડવીમાં 10 કલાકમાં જ સાત ઇંચ પાણી પડયું હતું. બારડોલી તાલુકામાં જળબંબાકારની સ્થિતિ ઉભી થતાં અનેક ગામો ટાપુમાં ફેરવાયા હતા.

કચ્છ જિલ્લામાં પણ મેઘરાજાની સતત મહેર વરસી છે. જેમાં નખત્રાણામાં માત્ર બે કલાકમાં પાંચ ઈંચ, અંજારમાં પોણા ચાર, માંડવીમાં સાડા ત્રણ, ભુજમાં પોણા ત્રણ, રાપરમાં પોણો અને મુંદરામાં અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો. જેના કારણે અનેક ડેમોમાં વરસાદથી પાણીની સારી આવક થઈ છે. અમુક છલવાયા છે ભારે વરસાદથી કેટલાક રસ્તાઓ બંધ થઈ જતા મુશ્કેલી પડી હતી.  કચ્છ જિલ્લામાં ચાલુ વર્ષે માંડવીમાં સૌથી વધુ વરસાદ પડયો છે.