કુરીવાજો

આ ફિલ્મ દ્વારા સમાજમાં દીકરીઓના શિક્ષણ મુદ્દે અને બાળ વિવાહ જેવી કુરીવાજો સામે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ ફિલ્મ ‘દીકરીને આપો જ્ઞાન, એ જ છે નારી સન્માન’ ના સૂત્ર સાથે કન્યા શિક્ષણ અને બાળ લગ્ન જેવી સામાજિક બદીઓ સામે અવાજ ઉઠાવે છે.

આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે કે, વિકાસ ફક્ત શહેરોનો જ થયો છે,  કેટલાક ગામડા હજી પણ એ વિકાસને દબાવી રહ્યા છે. ગ્રામીણ વિસ્તારમાં ઘણા લોકો નથી ઇચ્છતા કે, તેમની દીકરીઓ શિક્ષણ મેળવીને ભવિષ્ય ઉજ્જવળ બનાવે.‘કખગઘ’માં મંજરી નામની 12 વર્ષીય ભણવામાં હોંશિયાર બાળકીની પ્રેરણાદાયી કહાની રજૂ કરવામાં આવી છે, તેના સપના ખૂબ મોટા હોય છે. જોકે, બાળ વયે તેના લગ્ન કરવા માટે દબાણ કરવામાં આવે છે ત્યારે તેનો શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્ય બનાવવાની તેની ઇચ્છાઓ જોખમમાં મુકાય છે.

પરંતુ શું મંજરી આવા કુરીવાજોમાંથી છટકી જવાનો અને તેના સપનાને પૂર્ણ કરવાનો કોઈ માર્ગ શોધી શકશે કે પછી તે સામાજિક દબાણનો સામનો કરશે? આવા સવાલનો જવાબ જાણવા માટે આ ફિલ્મ જોવી રહી. આ ફિલ્મ એક મજબૂત સંદેશ આપે છે કે શિક્ષણ દ્વારા જ સમાજમાં પરિવર્તન લાવી શકાય છે અને મહિલાઓનું સન્માન જાળવી શકાય છે.

આવા સહજ વિચાર પર આ ફિલ્મનું નિર્માણ રાજભા ફિલ્મ્સ અને અખિલ કોટક પ્રોડક્શન દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મના લેખક અને દિગ્દર્શક અખિલ કોટક છે. ફિલ્મના સંવાદ નીરજ મહેતા દ્વારા લખવામાં આવ્યા છે. આ ફિલ્મમાં મોના થીબા કનોડિયા (વિદ્યા), હિતુ કનોડિયા (ગૃહ મંત્રી), શૌનક વ્યાસ (નરેશ), દીપા ત્રિવેદી (ગૌરી), અરવિંદ વેગડા (ચંદ્રેશ), ભાવિની જાની (બા) અને જિતેન્દ્ર ઠક્કર (સરપંચ)ની ભૂમિકા ભજવી રહ્યા છે