કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ હાર્દિક પટેલે ગુરુવારે જણાવ્યું હતું મેં મારા જીવનના 3 વર્ષ કોંગ્રેસમાં બગાડ્યા છે. હાલમાં ભાજપ કે આપમાં જવાનો કોઈ નિર્ણય કર્યો નથી, જ્યારે પણ કરીશ ત્યારે ગર્વથી કરીશ. સાથે જ તેમણે કહ્યું કે, કોંગ્રેસ જાતિવાદી રાજનીતિ કરે છે. 7થી 8 લોકો 33 વર્ષથી કોંગ્રેસ ચલાવે છે.

હાર્દિક પટેલે જણાવ્યું કે, 2019થી 2022ના સમયગાળામાં કોંગ્રેસને નજીકથી જાણી છે. કોંગ્રેસ સૌથી મોટી જાતિવાદી રાજનીતિ કરે છે. ગુજરાત કોંગ્રેસમાં કાર્યકારી અધ્યક્ષ એટલે શોભાના ગાઠીયા જેવી. ગુજરાત કોંગ્રેસે એકપણ જવાબદારી મને આપી નથી. મારા જેવા કાર્યકરો રોજના 500-600 કિ.મી. ફરીને લોકો વચ્ચે જઈને તેમનાં સુખ-દુખ જાણવાનો પ્રયાસ કરે તો અહીંના મોટા નેતાઓ એસી ચેમ્બરમાં બેસીને આ પ્રયાસને ખોરવી નાખવા પ્રયાસ કરે છે. કોંગ્રેસમાંથી અનેક લોકો પાર્ટી છોડીને ગયા છે. અનેક ધારાસભ્યો કોંગ્રેસથી નારાજ છે. કોંગ્રેસમાં કોઈ મજબૂત આગેવાન મોટા નેતા બનવાનો પ્રયાસ કરે ત્યારે તેમને સાઈડલાઈન કરાય છે.

હાર્દિક પટેલે કહ્યું કે, યૂથ કોંગ્રેસની ચૂંટણીમાં 5 કરોડ ઉઘરાવવામાં આવે છે. મેં રાજીનામું આપ્યું છે, લીધું નથી. દુ:ખ સાથે નહીં હિંમ્મત સાથે નિર્ણય કર્યો છે. કોંગ્રેસ ગુજરાતનું સારુ નથી ઈચ્છતી. મેં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે વાત કરી છે અને ગુજરાતની સમસ્યા જણાવી છે, ત્યારે મને ઈગ્નોર કરવામાં આવ્યો હતો.