લોર્ડ્સ ખાતે એન્ડરસન-તેંડુલકર શ્રેણીની ત્રીજી ટેસ્ટમાં ત્રીજા દિવસે શનિવારે પ્રથમ ઇનિંગમાં ઇંગ્લેન્ડની જેમ ભારતની ટીમ પણ 387 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી રિષભ પંતે 74 રન, કેએલ રાહુલે સદી અને રવિન્દ્ર જાડેજાએ 72 રન બનાવ્યા હતાં. ઈંગ્લેન્ડ તરફથી ક્રિસ વોક્સે ૮૪ રનમાં ૩ વિકેટ ઝડપી હતી, જ્યારે જોફ્રા આર્ચર અને બેન સ્ટોક્સે બે-બે વિકેટ લીધી હતી.
ઝેક ક્રોલી (2) અને બેન ડકેટ (0) ક્રીઝ પર હતા ત્યારે ત્રીજા દિવસની રમતનો અંત આવ્યો હતો. અગાઉ ઇંગ્લેન્ડની ટીમ પ્રથમ દાવમાં 387 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જો રૂટ ૧૦૪, બ્રાયડન કાર્સે ૫૬, જેમી સ્મિથ ૫૧ રન બનાવ્યાં હતાં. ભારત તરફથી જસપ્રીત બુમરાહ 74 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. નીતિશ કુમાર રેડ્ડી અને મોહમ્મદ સિરાજને બે બે વિકેટ મળી હતી.
બુમરાહની વેધક બોલિંગ સામે ઇંગ્લેન્ડના એક સમયે 271 રનમાં સાત વિકેટ પડી ગઈ હતી, પરંતુ લોઅર ઓર્ડર બેટરોએ લડાયક રમત રમીને સન્માનજનક સ્કોર ખડો કરવામાં મદદ કરી હતી. સાતમાં ક્રમ પર બેટિંગ કરવા આવેલા ઇંગ્લેન્ડના વિકેટકીપર-બેટર સ્મિથે 51 રનની ઝડપી ઇનિંગ રમી હતી. તેને કાર્સે સાથે આઠમી વિકેટ માટે 84 રનની મૂલ્યવાન ભાગીદારી નોંધાવી હતી. તેમની ભાગીદારીથી ઇંગ્લેન્ડને લંચ સુધી મજબૂત સ્થિતિમાં પહોંચવામાં મદદ કરી હતી.
ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બંને દેશો વચ્ચે પાંચ ટેસ્ટની શ્રેણીની પહેલી મેચ લીડ્સમાં રમાઈ હતી, જેમાં યજમાન ટીમે 5 વિકેટથી જીત મેળવી હતી. બીજી ટેસ્ટમાં ભારતીય ટીમે શાનદાર વાપસી કરી હતી એજબેસ્ટનમાં ઈંગ્લેન્ડને 336 રનથી હરાવીને પાંચ મેચની શ્રેણી 1-1થી બરાબર કરી હતી. હવે આ લોર્ડ્સ ટેસ્ટ બંને ટીમો માટે આ સિરિઝ માટે નિર્ણાયક પુરવાર થશે.
બીજા સત્ર દરમિયાન પંતને આંગળીમાં ઈજા થતાં મેદાન છોડવું પડ્યું હતું.પંતની જગ્યાએ વિકેટકીપર તરીકે ધ્રુવ જુરેલને ટીમમાં સામેલ કરાયો હતો.
