ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 37 હજારને પાર પહોંચી છે. જેમાં અત્યાર સુધી 1218 લોકોના મોત નીપજ્યા છે જ્યારે 9950 કોરોના દર્દી સાજા થયા છે. ભારતમાં હજુ પણ કોરોનાના 26167 એક્ટિવ કેસ છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 2293 નવા કેસ સામે આવ્યા છે, અને 71 મોત થયાની પુષ્ટિ થઈ છે.

પ્રવાસી મજૂરો માટે શનિવારે વધુ 5 ટ્રેનો ચાલશે. જેમાં 2 કોચ્ચિ અને 1 તિરૂવનંતપુરમથી ચાલશે. તિરૂવનંતપુરમથી ટ્રેન ઝારખંડના હટિયા સુધી જશે. જે આજે બપોરે 2 વાગે રવાના થશે. લોકડાઉનમાં ફસાયેલા મજૂરો અને વિદ્યાર્થીઓની ઘરવાપસી શરૂ ગઈ છે. શ્રમિત સ્પેશ્યલ ટ્રેનથી કેટલાક શહેરોમાં મજૂર પાછા આવી રહ્યા છે. મહારાષ્ટ્રથી 347 મજૂરોને લઈને વિશેષ ટ્રેન આજે ભોપાલ પહોંચી છે.

મહારાષ્ટ્રમાં કોરોના સૌથી વધુ પ્રભાવિત છે. મહારાષ્ટ્રમાં શુક્રવારે 24 કલાકમાં 1008 નવા કેસ સામે આવ્યા છે. કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા 11,506 થઈ ચૂકી છે જ્યારે કોરોનાના કારણે અત્યાર સુધી 485 લોકોના જીવ ગયા છે. સૌથી ખરાબ હાલત મુંબઈની છે. જ્યાં 7812 લોકો અત્યાર સુધી કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે જ્યારે 295 લોકોના મોત થયા છે.