દેશવ્યાપી લોકડાઉનને લગભગ દેશના તમામ ઉદ્યોગ-વ્યવસાયોની કમર તોડી નાંખી છે. તાજેતરમાં બહાર પડેલી ઇન્ડિયન ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીની રિપોર્ટ મુજબ એપ્રિલ મહિનામાં કોઇપણ કંપનીની કાર વેચાઇ નથી, અત્યાર સુધીના ઇતિહાસમાં આ પહેલી વાર બન્યુ છે કે કારોનું વેચાણ શૂન્ય છે. દેશમાં સૌથી વધારે કાર વેચનાક મારુતિ સુઝુકીથી લઇને લગ્ઝુરિયસ કારો વેચતી મર્સિડીઝ જેવી કંપનીઓના પણ આ જ વેચાણ આંકડા છે.

આ મુદ્દે મારુતિ સુઝુકીના આરસી ભાર્ગવ, ટીવીએસ મોટરના વેણુ શ્રીનિવાસન, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના પવન ગોયનકા અને અન્ય કંપનીઓના અધિકારીઓએ જણાવ્યુ કે, કોરોના મહામારી અને લોકડાઉન વચ્ચે આગામી મહિનામાં પણ વેચાણના આંકડા સુધરે એમ લાગતુ નથી. તેઓના મુજબ ઓટો ઇન્ડસ્ટ્રી સામે લાંબા સમય માટે સંકટ ઉભો થશે. સ્કોડા કંપનીના હેડ જેક હોલિસે એક ટ્વીટ દ્વારા જણાવ્યુ હતુ કે એપ્રિલમાં એક પણ કાર વેચાઇ નથી, વિતેલા 30 વર્ષમાં આ પહેલીવાર બન્યુ છે કે, કંપનીએ એક પણ કારનું વેચાણ કર્યુ નથી.

દેશની સૌથી મોટી ઓટોમોટિવ ઇન્ડસ્ટ્રી મારુતિ સુઝુકીએ શુક્રવારે સેલ્સ રિપોર્ટ જારી કરતા જણાવ્યુ કે, ઇતિહાસમાં આ પહેલીવાર બન્યુ કે જ્યાં એપ્રિલમાં કંપનીઓ એકપણ કારનુ વેચાણ ન કર્યુ હોય. ભારતની ઓટો ઇન્ડસ્ટ્રી પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે આશરે 4 કરોડથી વધારે લેોકોને રોજગાર આપે છે. દેશની જીડીપીમાં 8% અને ટેક્સ કલેક્શનમાં 15%નું યોગદાન આપે છે. જોકે સરકારે કોરોના વાયરસના હોટસ્પોટથી બહાર રહેલી ફેક્ટરીઓને શરુ કરવાની મંજૂરી આપી દીધી છે, પરંતુ ઓટોમેકર્સ કંપનીઓએ સામાન્ય સ્થિતિની રાહ જોતા તેમના યુનિટ બંધ જ રાખ્યા છે.