(PTI Photo)

ભારતે ઓડિશાના દરિયાકાંઠે અબ્દુલ કલામ ટાપુ પરથી પરમાણુ સક્ષમ બેલિસ્ટિક મિસાઈલ ‘અગ્નિ પ્રાઇમ’નું રાત્રે સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યું છે, જેનાથી દેશની વ્યૂહાત્મક પ્રતિરોધક ક્ષમતામાં વધારો થયો છે. સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડ (SFC) અને ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)એ સાથે મળીને 1,000 થી 2,000 કિમીની દૂરના લક્ષ્યાંક પર પ્રહાર કરતી મિસાઈલ પરીક્ષણ કર્યું હતું.

સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે આ પરીક્ષણ બુધવારે સાંજે હાથ ધરાયું હતું અને પરીક્ષણમાં તમામ ઉદ્દેશો હાંસલ થયા હતાં. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે સફળ પરીક્ષણ માટે DRDO, SFC અને સશસ્ત્ર દળોને અભિનંદન આપ્યા હતા અને જણાવ્યું હતું કે આર્મીમાં મિસાઈલના સમાવેશથી આર્મીની ક્ષમતામાં અનેક ગણો વધારો થશે.

આ પ્રક્ષેપણ દરમિયાન ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ, સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડના વડા અને DRDO અને ભારતીય સેનાના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત હતાં.જનરલ ચૌહાણ અને DRDOના અધ્યક્ષ સમીર વી કામતે સફળ પરીક્ષણ માટે SFC અને DRDOના પ્રયાસોની પ્રશંસા કરી હતી.

ગયા મહિને ભારતે ‘મિશન દિવ્યાસ્ત્ર’ હેઠળ મલ્ટિપલ ઇન્ડિપેન્ડલી ટાર્ગેટેબલ રી-એન્ટ્રી વ્હીકલ (MIRV) સાથે સ્વદેશી રીતે વિકસિત અગ્નિ-5 મિસાઇલનું પ્રથમ પરીક્ષણ સફળતાપૂર્વક કર્યું હતું. આની સાથે ભારત આવી ક્ષમતા ધરાવતા દેશોની યાદીમાં સામેલ થયું હતું. MIRV ટેકનોલોજી સાથેના મિસાઇલ વિવિધ ટાર્ગેટ પર બહુવિધ પ્રહાર કરી શકે છે. અગ્નિ-V મિસાઈલની રેન્જ 5,000 કિમી સુધી છે અને તે ચીનના ઉત્તરીય ભાગ તેમજ યુરોપના કેટલાક વિસ્તારો સહિત લગભગ સમગ્ર એશિયાને તેની પ્રહાર શ્રેણી હેઠળ લાવી શકે છે.

LEAVE A REPLY

five × four =