અરુણાચલપ્રદેશ પર ચીનની મિલિટરીએ કરેલી દાવાને ભારતે વાહિયાત ગણાવીને ફગાવી દીધો હતો. ભારતે જણાવ્યું હતું કે ચીનની સરહદ પર આવેલું આ ઉત્તરપૂર્વ રાજ્ય હંમેશા “ભારતનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ” રહેશે.

ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે મંગળવારે જણાવ્યું હતું કે, “આ સંબંધમાં પાયાવિહોણી દલીલોનું પુનરાવર્તન કરવાથી આવા દાવાઓને કોઈ માન્યતા મળતી નથી.”

ગયા સપ્તાહે ચીનના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા વરિષ્ઠ કર્નલ ઝાંગ ઝિયાઓગાંગે જણાવ્યું હતું કે ઝિઝાંગ (તિબેટ માટે ચાઇનીઝ નામ)નો દક્ષિણ ભાગ ચીનના પ્રદેશનો એક અભિન્ન હિસ્સો છે અને બેઇજિંગ અરુણાચલપ્રદેશ પર ભારતના ગેરકાયદેસર કબજાનો સખત વિરોધ કરે છે અને તેનો ક્યારેય સ્વીકાર કર્યો નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અરુણાચલની મુલાકાતના થોડા દિવસો બાદ ચીને જૂનો રાગ આલોપ્યો હતો.

ચીન વર્ષોથી અરુણાચલ પ્રદેશને દક્ષિણ તિબેટ તરીકે ઓળખાવે છે. તે અરુણાચલપ્રદેશમાં ભારતીય નેતાઓની મુલાકાતનો નિયમિતપણે વાંધો પણ ઉઠાવે છે. બેઇજિંગે આ વિસ્તારનું નામ ઝાંગનાન પણ રાખ્યું છે. ભારતે અરુણાચલ પ્રદેશ પર ચીનના દાવાઓને વારંવાર નકારી કાઢ્યા છે અને ભારપૂર્વક જણાવ્યું છે કે રાજ્ય દેશનો અભિન્ન હિસ્સો છે. નવી દિલ્હીએ આ વિસ્તારને ચીને આપેલા નવા નામોને પણ નકારી કાઢ્યાં છે અને જણાવ્યું છે કે તેનાથી વાસ્તવિકતા બદલાઈ જતી નથી.

 

LEAVE A REPLY

11 + fifteen =