શ્રીલંકન નેવી દ્વારા પકડાયેલા 56 ભારતીય માછીમારોને મુક્ત કરવાનો હુકમ શ્રીલંકાની કોર્ટે આપ્યો છે. શ્રીલંકન નેવીએ શ્રીલંકાના જળ વિસ્તારમાં માછીમારી કરવાનો આરોપ મૂકી ભારતીય માછીમારોની ધરપકડ કરી હતી.
ગત વર્ષે મધ્ય ડિસેમ્બરમાં મન્નારના દક્ષિણમાં આવેલા દરિયામાંથી પકડાયેલા ભારતીય માછીમારોને મુક્ત કરવા નોર્ધન જાફના પેનિન્સ્યુલાની કોર્ટે જણાવ્યું છે.
કોલંબોસ્થિત ઇન્ડિયન હાઇ કમિશનરે આ અંગે ટ્વીટર પર જણાવ્યું હતું કે, શ્રીલંકાની કાર્ટે ભારતીય માછીમારોને મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. બીજી તરફ ભારતના વિદેશ પ્રધાન જયશંકરે જણાવ્યું છે કે માછીમારોની મુક્તિ સુનિશ્ચિત કરવા માટે હાઇ કમિશનર ગોપાલ બાગલે અને ટીમના પ્રયત્નો પ્રશંસાને પાત્ર છે.
શ્રીલંકાના અધિકારીઓની સાથે ભારતીય રાજદ્વારી સૂત્રોએ પણ માછીમારોની મુક્તિના અહેવાલને સમર્થન આપ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર શ્રીલંકન કોર્ટના આ આદેશ પછી હવે શ્રીલંકામાં કોઇ પણ ભારતીય માછીમાર કસ્ટડીમાં નથી.
શ્રીલંકાની કોર્ટ દ્વારા આ આદેશ એવા સમયે આપવામાં આવ્યો છે ભારતીય અધિકારીઓએ શ્રીલંકા દ્વારા આર્થિક સહાયતાની માગને ધ્યાનમાં રાખીને ભારતીય માછીમારોને માનવતાને ધોરણે મુક્ત કરવાની અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે થોડાક જ સમય પહેલા ભારતે શ્રીલેકાને આર્થિક મદદ કરવાની જાહેરાત કરી હતી.