યુક્રેનમાં રશિયાના હુમલા પછી ફસાયેલા ભારતીયોનું પ્રથમ જૂથ શુક્રવારે સુસેવા બોર્ડર થઈને રોમાનિયા પહોંચ્યું હતું. રોમાનિયા પહોંચેલા મોટાભાગના લોકો વિદ્યાર્થીઓ છે અને તેમની સંખ્યા લગભગ 470 છે. હવે આ તમામને રોમાનિયાની રાજધાની બુકારેસ્ટ મોકલવામાં આવી રહ્યા છે. જ્યાંથી તેમને ભારત પરત મોકલવામાં આવશે. ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વીટર પર આ માહિતી આપી હતી.
એર ઈન્ડિયાએ બુકારેસ્ટ માટે બે ફ્લાઈટ મોકલવાનો નિર્ણય લીધો છે. રશિયાએ બીજા દિવસે પણ યુક્રેનની રાજધાની કિવ અને અન્ય શહેરો પર હવાઈ હુમલા કર્યા હતા. આ કારણોસર લોકો સતત યુક્રેન છોડી રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્રનો દાવો છે કે લગભગ 50,000 લોકોએ યુક્રેન છોડી દીધું છે.
યુક્રેનમાં લગભગ 20 હજાર ભારતીયો છે. તેમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ છે. તેમને પરત મોકલવા માટે સતત પ્રયાસો થઇ રહ્યા છે. રશિયાના સૈન્ય હુમલા બાદ યુક્રેને તેની એરસ્પેસ બંધ કરી દીધી છે. ભારત રોમાનિયા, હંગેરી, સ્લોવાક રિપબ્લિક અને પોલેન્ડની જમીની સરહદો દ્વારા ભારતીયોને બહાર કાઢવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.
આ અંગે વિદેશ પ્રધાન એસ જયશંકરે યુક્રેનના વિદેશ પ્રધાન દિમિત્રો કુલેબા સાથે ફોન પર વાત કરી હતી. જયશંકરે ટ્વીટ કર્યું, “યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રો કુલેબાનો ફોન આવ્યો. તેમણે વર્તમાન પરિસ્થિતિ અંગે જાણ કરી છે. જયશંકરે કહ્યું, ‘મેં ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત ઉકેલ શોધવા માટે મુત્સદ્દીગીરી અને સંવાદને સમર્થન આપે છે.’ તેમણે વિદ્યાર્થીઓ સહિત ભારતીય નાગરિકોની સ્થિતિ અને સલામત સ્થળાંતરમાં તેમના સહયોગની ચર્ચા કરીને પ્રશંસા કરી હતી.
આ અગાઉ ગુરુવારે વડાપ્રધાન મોદીએ યુક્રેનમાં બગડતી પરિસ્થિતિ વચ્ચે રશિયન પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિન સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને તમામ પક્ષોને હિંસા ખતમ કરવા અને રાજદ્વારી વાતચીતનો માર્ગ અપનાવવાની અપીલ કરી હતી. આ દરમિયાન ભારતીય લોકોની વાપસી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.