મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ જામનગરમાં ૩૬૦૦ ચો.મીટર વિસ્તારમાં રૂ. ૧પ કરોડના ખર્ચે અત્યાધુનિક સ્પોર્ટસ મ્યૂઝિયમનું નિર્માણ કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. જામનગરને ક્રિકેટ જગતમાં વિશ્વખ્યાતિ અપાવનારા રણજિતસિંહજીનું નામ આ સ્પોર્ટસ મ્યૂઝિયમ સાથે જોડીને તેને શ્રી રણજિંતસિંહજી સ્પોર્ટસ મ્યૂઝિયમ તરીકેની આગવી ઓળખ અપાશે. વિજયભાઇ રૂપાણીએ આ સ્પોર્ટસ મ્યૂઝિયમમાં ભારતની રમત-ગમત ક્ષેત્રની સ્વર્ણિમ ક્ષણો ગોલ્ડન મોમેન્ટસ અતિ આધુનિક ટેકનોલોજી દ્વારા પ્રદર્શિત કરવામાં આવશે તેમ પણ જણાવ્યું છે.
તેમણે આ મ્યૂઝિયમની વિશેષતાઓની વિગતો આપતાં જણાવ્યું કે, આ સંગ્રહાલયમાં ભારત દેશના અને ગુજરાતના રમતવીરોનો ગૌરવવંતો ઇતિહાસ તથા ભારત માં અને ગુજરાત રાજ્યમાં જન્મેલા નામાંક્તિ રમતવીરો શ્રી રણજીતસિંહ (ક્રિકેટર), શ્રી દુલીપસિંહજી (ક્રિકેટર) વગેરે તથા ગુજરાતના અન્ય નામાંક્તિ રમતવીરોની કારકિર્દી અને તેઓએ રમતોમાં મેળવેલ સિદ્ધિઓની પ્રદર્શની દ્વારા ગુજરાતના યુવાનોને રમત-ગમત ક્ષેત્રે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સિદ્ધિ મેળવવા માટેની પ્રેરણા આપવાનો પ્રયાસ કરાશે. આ સ્પોર્ટસ મ્યૂઝિમમાં આધુનિક ટેકનોલોજી જેમાં 3D Projection, Holography, Augmented Reality, Sensor Based Sound Mapping, Elegant & Attractive Lighting System વગેરે થી દેશના રમત-ગમમત ક્ષેત્રની ગૌરવગાથાની પ્રસ્તુતીથી હાલની પેઢીના યુવાનો રમત-ગમત પ્રવૃત્તિઓમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઉત્તમ સિદ્ધિ મેળવવા માટે પ્રેરિત થશે.
દેશની રમત-ગમત ક્ષેત્રની સ્વર્ણિમ ક્ષણો અત્યાધુનિક ટેકનોલોજી દ્વારા આ સંગ્રહાલયમાં પ્રદર્શિત કરવામાં આવશે. રૂપાણીએ આ સ્પોર્ટસ મ્યૂઝિયમ એક આંતરરાષ્ટ્રીય કક્ષાના પ્રસિદ્ધ સંગ્રહાલય તરીકે આગવી ઓળખ ઊભી કરશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો છે.