ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 15મી સીઝન 26 માર્ચથી શરૂ થશે અને તેની ફાઈનલ મેચ 29 મેના રોજ રમાશે. આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આઈપીએલ પ્રેસિડેન્ટ બ્રિજેશ પટેલના નેતૃત્વમાં યોજાયેલી બેઠકમાં વિવિધ નિર્ણય લેવામાં આવ્યા છે. જે મુજબ તમામ લીગ મેચો મુંબઈમાં યોજાશે જ્યારે પ્લે-ઓફ મેચ ક્યાં રમાશે તે પછીથી નક્કી કરાશે. BCCIના વાઇસ પ્રેસિડેન્ટ રાજીવ શુક્લાના જણાવ્યા અનુસાર, આઇપીએલ 2022 આગામી 26 માર્ચથી શરૂ થશે અને આઇપીએલ આ વર્ષે મહારાષ્ટ્રમાં રમાશે. અમને ખાતરી છે કે સ્ટેડિયમમાં અમુક ટકા દર્શકોને મંજૂરી આપવામાં આવશે અને અમે સરકારની માર્ગદર્શિકાનું પાલન કરીશું.
આઇપીએલની 70 મેચોમાંથી 55 મેચ મુંબઈમાં રમાશે જ્યારે 15 મેચ પુણેમાં રમાશે. આ તમામ મેચો ચાર સ્ટેડિયમમાં રમાશે જેમાં 20 મેચ વાનખેડે સ્ટેડિયમમાં, 15 મેચ બ્રેબાન સ્ટેડિયમમાં, 20 મેચ ડીવાય પાટિલ સ્ટેડિયમમાં અને 15 મેચ મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન ગ્રાઉન્ડ, પુણેમાં રમાશે.