(REUTERS Photo)

ઇઝરાયલન વડાપ્રધાન બેન્ઝામિન નેતન્યાહૂ અને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ચેતવણીઓ, અલ્ટીમેટમ્સ અને મૃત્યુની ધમકી પછી પણ ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ અલી ખામેની જણાવ્યું હતું કે ઇરાન ક્યારેય આત્મસમર્પણ કરશે નહીં. તેમણે ટ્રમ્પના “બિનશરતી શરણાગતિ” માટેની અપીલને ફગાવી દીધી હતી.

ગુપ્ત ઠેકાણામાંથી દુશ્મનને સંદેશ આપતા ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનીએ કહ્યું હતું કે તેહરાન “ક્યારેય શરણાગતિ સ્વીકારશે નહીં” આની સાથે આયાતુલ્લાએ યુનાઇટેડ સ્ટેટ્સને ચેતવણી આપી હતી કે જો તે ઇઝરાયલ-ઈરાન સંઘર્ષમાં હસ્તક્ષેપ કરશે તો તેને “ભરપાઈ ન શકાય તેવું નુકસાન” થશે.

મંગળવારે ટ્રમ્પે ખામેનીને “બિનશરતી શરણાગતિ સ્વીકારવાનું” અલ્ટીમેટમ આપ્યું હતું, અને એક છુપી ધમકી પણ આપી હતી કે અમેરિકા અને ઇઝરાયલ જાણે છે કે કહેવાતા ‘સર્વોચ્ચ નેતા ક્યાં છુપાયેલા છે. તે એક સરળ નિશાન છે, પરંતુ હાલમાં અમે ટાર્ગેટ કરવાના નથી. વોશિંગ્ટનની ધીરજ ખુટી રહી છે,

અગાઉ તહેરાન ખાલી કરવાની અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની ચેતવણી પછી ઇઝરાયેલ અને ઇરાન વચ્ચેનું યુદ્ધ મંગળવારે વધુ ભીષણ બન્યું હતું. ઈરાની રિવોલ્યુશન ગાર્ડ્સ કોર્પ્સે ઇઝરાયલી જાસૂસી એજન્સી મોસાદના હેડક્વાર્ટરને ઉડાવી દીધું હોવાનો દાવો કર્યો હતો, જ્યારે ઇઝરાયેલે પણ હુમલા ચાલુ રાખીને ઇરાનના નવા લશ્કરી વડાનો ખાતમો બોલાવ્યો હતો અને તહેરાનના આકાશ પર વર્ચસ્વ સ્થાપિત કર્યો હોવાનો દાવો કર્યો હતો. અમેરિકા અને ઇઝરાયેલ હવે ઇરાનના સૌથી ગુપ્ત અને સુરક્ષિત પરમાણુ પ્લાન્ટ પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યાં હોવાના સંકેત મળે છે.
‘ઓપરેશન રાઇઝિંગ લાયન’ હેઠળ છેલ્લાં પાંચ દિવસથી ઇઝરાયેલ ઇરાનની લશ્કરી અને પરમાણુ મથકોને ટાર્ગેટ બનાવીને હુમલા કરી રહ્યું છે અને ઇરાન પણ અત્યાર સુધી 370થી વધુ ડ્રોન અને બેલેસ્ટિક મિસાઇલથી વળતો પ્રહાર કર્યો છે. આ યુદ્ધમાં ઇઝરાયેલમાં ઓછામાં ઓછા 24ના મોત થયા છે, જ્યારે આશરે 400 ઘાયલ થયા છે, જ્યારે ઇરાનમાં 224ના મોત થયા છે અને 1,277 લોકો ઘાયલ થયા છે.

ઇઝરાયલી સૈન્યએ ઈરાનના ટોચના જનરલનો ખાતમો બોલાવ્યો હોવાનો દાવો કર્યો હતો. ઈરાને જનરલ અલી શાદમાનીની હત્યાના અહેવાલ પર કોઈ ટિપ્પણી કરી ન હતી. શાદમાનીને હજુ થોડા દિવસો પહેલા જ અર્ધલશ્કરી રિવોલ્યુશનરી ગાર્ડના ખાતમ અલ-અંબિયા સેન્ટ્રલ હેડક્વાર્ટરનો વડો બનાવવામાં આવ્યો હતો.

સોમવારે ઇઝરાયેલે તહેરાનમાં લગભગ 3 લાખ લોકોને હવાઈ હુમલા પહેલા સ્થળાંતર કરવાની વોર્નિંગ આપી હતી. મંગળવારે વહેલી સવારે તહેરાન શહેર ખાલી થઈ ગયું હતું. ઘણી દુકાનો બંધ હતી. પ્રાચીન ગ્રાન્ડ બજાર પણ બંધ હતું. તહેરાનથી પશ્ચિમ તરફના રસ્તાઓ પર પર ટ્રાફિક જામ થયો હતો. ઘણા લોકો કાસ્પિયન સમુદ્ર વિસ્તાર તરફ જતા દેખાયા હતા. તહેરાનમાં પેટ્રોલ પંપો પર પણ લાંબી લાઈનો જોઈ શકાતી હતી. અધિકારીઓએ ડોકટરો અને નર્સોની રજાઓ રદ કરી દીધી હતી.

યુદ્ધવિરામ નહીં, બીજુ કંઇક ઘણું મોટું થવાનું છેઃ ટ્રમ્પ

જી-સેવન સમીટ અધવચ્ચેથી છોડી દેતા પહેલા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે ઇરાન અણુશસ્ત્રો રાખી શકે નહીં. દરેક વ્યક્તિએ તાત્કાલિક તહેરાન ખાલી કરવું જોઈએ. યુદ્ધવિરામના પ્રયાસ કરવા ટ્રમ્પે જી-7 સમીટ અધવચ્ચે છોડી હોવાના ફ્રાન્સના પ્રેસિડન્ટ ઇમેન્યુએલ મેક્રોનના દાવાને ફગાવી દેતા ટ્રમ્પે જણાવ્યું હતું કે ખોટું! મેક્રોનને ખબર નથી કે હું હવે વોશિંગ્ટન કેમ જઈ રહ્યો છું, પરંતુ તેનો ચોક્કસપણે યુદ્ધવિરામ સાથે કોઈ સંબંધ નથી. તેનાથી બીજુ કંઇક ઘણું મોટું થવાનું છે. આ દરમિયાન, યુએસ સંરક્ષણ પ્રધાન પીટ હેગસેથ પ્રેસિડન્ટ અને રાષ્ટ્રીય સુરક્ષા ટીમ સાથે મુલાકાત કરવા માટે વ્હાઇટ હાઉસ સિચ્યુએશન રૂમમાં પહોંચ્યાં હતાં.

 

LEAVE A REPLY