(PTI Photo)

વોશિંગ્ટનના સીએટલ સિટીમાં પોલીસની કારની ટક્કરે જીવ ગુમાવનારી ભારતીય વિદ્યાર્થિની જાહ્નવી કંડુલાના પરિવારને 29 મિલિયન ડોલર (આશરે રૂ.260 કરોડ)ના વળતર સાથે સમાધાન કરાયું હતું. કિંગ કાઉન્ટી સુપિરિયર કોર્ટમાં દાખલ કરાયેલા સેટલમેન્ટ મુજબ સિએટલ સિટી વહીવટીતંત્ર આ આર્થિક વળતર આપવા સંમત થયું હતું.

23 જાન્યુઆરી, 2023ના રોજ સિએટલમાં એક સ્ટ્રીટ ક્રોસ કરતી વખતે પોલીસની કારની ટક્કરથી કંડુલાનુ મોત થયું હતું. ઇમરજન્સી કોલનો જવાબ આપી રહેલા ઓફિસર કેવિન ડેવ પ્રતિલાક 74 માઇલની ઝડપી કાર ચલાવી રહ્યો હતો અને કંડુલાને ટક્કર મારી હતી.તપાસમાં બહાર આવ્યું હતું કે ઓફિસર નિર્ધારિત સ્પીડ લિમિટ કરતા ત્રણ ગણી વધુ ઝડપે કાર ચલાવી રહ્યો હતો.

બુધવારે એક નિવેદનમાં સિટી એટર્ની એરિકા ઇવાન્સે જણાવ્યું હતું કે જાહ્નવી કંડુલાનું મૃત્યુ હૃદયદ્રાવક હતું અને શહેરને આશા છે કે આ નાણાકીય સમાધાનથી કંડુલા પરિવારમાં થોડી રાહત થશે. જાહ્નવી કંડુલાનું જીવન મહત્વનું હતું. તે તેના પરિવાર, તેના મિત્રો અને આપણા સમુદાય માટે મહત્વનું હતું.

ભારતની 23 વર્ષીય જાહ્નવી કંડુલા સીએટલની નોર્થઈસ્ટર્ન યુનિવર્સિટીમાં ઇન્ફોર્મેશન સિસ્ટમ્સમાં માસ્ટર્સ કરી રહી હતી.
આ ઘટનામાં બીજા એક પોલીસ ઓફિસર ડેનિયલ ઓડરરના બોડી કેમેરાના રેકોર્ડિંગ બહાર આવ્યા પછી આ કેસ વધુ ચર્ચામાં આવ્યો હતો. આ રેકોર્ડિંગમાં ઓફિસર હસતા હસતા જાહ્નવીના જીવનની કિંમતને ‘લિમિટેડ વેલ્યુ’ કહી રહ્યો હતો અને ‘માત્ર એક ચેક લખી આપવા’ની સલાહ આપી રહ્યો હતો. આ ટિપ્પણીથી ભારત સહિત સમગ્ર વિશ્વમાં રોષ ફાટી નીકળ્યો હતો અને ભારતીય રાજદ્વારીઓએ તપાસની માંગણી કરી હતી.

LEAVE A REPLY