પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવામાં આવ્યાના 2 વર્ષ કરતા વધારે સમય થઈ ગયો છે અને તેના કારણે હવે અન્ય રાજ્યના વ્યક્તિ માટે જમ્મુ કાશ્મીરમાં જમીન ખરીદવી શક્ય બન્યું છે. જમ્મુ કાશ્મીરમાં કલમ 370 દૂર થયા બાદ રાજ્ય બહારના કેટલા વ્યક્તિઓએ અહીંયા જમીન ખરીદી છે તેવા પ્રશ્નના જવાબમાં મંગળવારે સરકારે જણાવ્યું હતું કે, ઓગસ્ટ 2019 બાદ અત્યાર સુધીમાં બહારના માત્ર બે લોકોએ રાજ્યમાં જમીન ખરીદી છે.

કેન્દ્રના ગૃહ રાજ્ય પ્રધાન નિત્યાનંદ રાય દ્વારા આ સવાલનો જવાબ આપવામાં આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, જમ્મુ કાશ્મીરમાં હવે જમીન ખરીદવામાં લોકોને કે સરકારને કોઈ મુશ્કેલી પડી રહી નથી. ઉલ્લેખનીય છે કે, જ્યાં સુધી કલમ 370 લાગુ હતી ત્યાં સુધી અન્ય રાજ્યનો કોઈ વ્યક્તિ અહીંયા જમીન ખરીદી શકતો નહતો. પણ હવે જમ્મુ કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવાયો છે અને એ પછી આ નિયમ હટી ગયો છે.