
લિવરપુલ સીટી સેન્ટર પાસે વોટર સ્ટ્રીટ નજીક ફુટબોલ ક્લબની વિજય પરેડમાં સોમવારે સાંજે 6 વાગ્યા પછી પ્રસંશકોની ભીડમાં એકાએક અનિયંત્રીત કાર ઘુસી જતા કુલ 47 લોકો ઘવાયા હતા. હોસ્પિટલમાં લઈ જવામાં આવેલા 27 લોકોમાં ચાર બાળકોનો સમાવેશ થાય છે અને 20 લોકો ઘટનાસ્થળે સારવાર હેઠળ છે. અફરાતફરીના માહૌલ દરમિયાન ઘટના સંબંધે પોલીસે મર્સીસાઇડ વિસ્તારના 53 વર્ષીય શ્વેત બ્રિટિશ વ્યક્તિની ઘટનાસ્થળેથી ધરપકડ કરી હતી.
મર્સીસાઇડ પોલીસના સહાયક ચીફ કોન્સ્ટેબલ જેની સિમ્સે પત્રકારોને સંબોધતા જણાવ્યુ હતું કે અમારું માનવું છે આ આતંકવાદી ઘટના નથી અને અમે હાલ આ બાબતે બીજા કોઇને શોધી રહ્યા નથી.
બનાવની જાણ થતાં જ એમ્બ્યુલન્સ, MERIT ડોકટરો, નોર્થ વેસ્ટ એર એમ્બ્યુલન્સ અને વરિષ્ઠ ચિકિત્સકો સહાય અને સારવાર આપવા માટે ઝડપથી ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બીજી તરફ ઇમરજન્સી એમ્બ્યુલન્સ દર્દીઓને રોયલ લિવરપૂલ, એલ્ડર હે, એરો પાર્ક અને એન્ટ્રી હોસ્પિટલોમાં લઈ ગયા હતી.
નોર્થ વેસ્ટ એમ્બ્યુલન્સ સર્વિસ NHS ટ્રસ્ટના વડા ડેવિડ કિચિને જણાવ્યું હતું કે ‘આ ઘટનામાં એક બાળક સહિત કુલ બે વ્યક્તિઓને ગંભીર ઇજા થઇ હતી. નાની અને સામાન્ય ઇજા ધરાવતા લોકોને ઘટનાસ્થળે જ સારવાર આપવામાં આવી હતી અને જ્યારે વધારે ઘવાયેલા લોકોને સ્થાનિક ઇમરજન્સી વિભાગમાં સારવાર આપવામાં આવી હતી. તંત્ર દ્વારા ઇજાગ્રસ્તોની ઓળખ જાહેર કરવામાં આવી નહોતી.’’
આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા અને ડાર્ક કલરની (ગ્રે ફોર્ડ ગેલેક્સી) કાર તળે લોકોને કચડાતા અને હવામાં ઉછળતા જોવા મળ્યા હતા. તે વિડીયોમાં કાર ડેલ સ્ટ્રીટ પર ધીમે ધીમે આગળ વધતી અને પછી વોટર સ્ટ્રીટ પર વળતી દેખાઇ હતી. હુમલાખોર ડ્રાઇવરે શરૂઆતમાં ખૂબ જ ધીમે કાર ચલાવી હતી અને પછી અચાનક રાહદારીઓ પર કાર ચઢાવી દઇ ગતિ વધારી હતી. કેટલાક બહાદુર લોકોએ કાર અટકાવવા બારીઓ તોડવાનો પ્રયાસ કર્યો હતો.
પોલીસ હાલમાં વોટર સ્ટ્રીટ સુધી કાર કેવી રીતે પહોંચી તે અંગે વિચારણા કરી રહી છે. અમુક લોકોએ કહ્યું હતું કે કાર એક એમ્બ્યુલન્સની પાછળ આવી હતી.
ખૂબ જ આઘાત લાગ્યા બાદ મહારાજા ચાર્લ્સ વતી બકિંગહામ પેલેસે એક નિવેદનમાં કહ્યું હતું કે ‘’રાજા અને રાણી કેમિલા લિવરપૂલમાં બનેલી ભયાનક ઘટનાઓ વિશે સાંભળીને ખૂબ જ આઘાત અને દુઃખી થયા છે. લિવરપૂલના લોકો માટે આ હૃદયદ્રાવક સમયે, હું જાણું છું કે સમુદાય ભાવનાની શક્તિ જરૂરિયાતમંદોને દિલાસો અને ટેકો આપશે.”
જ્યારે ફૂટબોલ એસોસિએશનના પેટ્રન પ્રિન્સ વિલિયમે કહ્યું હતું કે “આનંદદાયક ઉજવણીનો અંત આવી દુર્ઘટનામાં થયો તે દુ:ખદ છે. ગઈકાલે લિવરપૂલમાં જે દ્રશ્યો બન્યા તેનાથી અમને ખૂબ જ દુઃખ થયું છે. અમારા વિચારો ઘાયલ થયેલા લોકો સાથે છે.”
વડા પ્રધાન કેર સ્ટાર્મરે કહ્યું હતું કે કે “લિવરપૂલના દ્રશ્યો ભયાનક છે – મારા વિચારો ઘાયલ અથવા અસરગ્રસ્ત તમામ લોકો સાથે છે. આખો દેશ લિવરપૂલની સાથે ઉભો છે. હું આ આઘાતજનક ઘટના પર ઝડપી અને સતત પ્રતિભાવ આપવા બદલ પોલીસ અને કટોકટી સેવાઓનો આભાર માનવા માંગુ છું. મને અપડેટ રાખવામાં આવી રહ્યું છે અને હું પોલીસને તપાસ માટે જરૂરી જગ્યા આપવા વિનંતી કરું છું.”
