(Photo by SAM PANTHAKY/AFP via Getty Images)

ગુજરાતમાં લવ જેહાદ વિરુદ્ધનો કાયદો 15 જૂન 2021થી અમલી બન્યો છે. આ કાયદા હેઠળ ગુનેગારને ચારથી માંડીને સાત વર્ષની કેદ ઉપરાંત ત્રણ લાખ સુધીની દંડ થશે. લોભ-લાલચ, બળજબરીપૂર્વક કોઇ વ્યક્તિને ધર્મ પરિવર્તન કરાવાય નહીં. આવી પ્રવૃતિ પર રોક લાગે તે માટે રાજ્ય સરકારે વિધાનસભાના ગયા ચોમાસું ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય (સુધારા) ખરડો-2003 રજૂ કર્યો હતો.

વિધાનસભામાં રજૂ કરાયેલાં ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય ખરડાને કાયદાનું સ્વરૂપ આપવાની મંજૂરી મળી ગઈ છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મંજૂરી આપ્યા બાદ સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું હતું અને આજથી ધર્મ સ્વાતંત્ર્ય ધારા અધિનિયમ-2021નો અમલ શરૂ કરાવ્યો છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ 15મી જૂનથી આ કાયદાનો અમલ કરવા જાહેરાત કરી હતી.

આ કાયદામાં સુધારા સાથે એવી જોગવાઇ કરાઇ છે કે, માત્ર ધર્મ પરિવર્તનના હેતુથી કરાયેલાં લગ્ન ફેમીલી કોર્ટ અથવા ન્યાયક્ષેત્ર ધરાવતી કોર્ટ દ્વારા રદ કરવામાં આવશે. કોઇપણ વ્યક્તિ કપટ, બળપૂર્વક અથવા લાલચ આપી લગ્ન કરાવી ધર્મ પરિવર્તન કરાવી શકશે નહીં. આ ગુનામાં મદદ કરનાર કે સલાહ આપનારને પણ સમાન પ્રકારે દોષિત ગણવામાં આવશે.

ગુજરાતમાં વડોદરા સહિત અન્ય વિસ્તારમાં બળજબરીથી લગ્ન કરાવી ધર્મ પરિવર્તનના કિસ્સા વધતાં ભાજપના ધારાસભ્યોએ જ સરકારમાં રજૂઆત કરી હતી, જેના પગલે ઉત્તરપ્રદેશની જેમ ગુજરાતમાં પણ લવ જેહાદનો કાયદો અમલમાં લાવવામાં આવ્યો છે.