ન્યૂયોર્કમાં ખાલિસ્તાની આતંકવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસના પ્રમુખ ગુરપતવંતસિંહ પન્નુની હત્યાના નિષ્ફળ કાવતરાના શંકમંદ નિખિલ ગુપ્તાએ મેનહટન ફેડરલ કોર્ટમાં શુક્રવારે પોતાનો ગુનો કબૂલ્યો હતો. 54 વર્ષીય નિખિલ ગુપ્તાએ સોપારી આપી હત્યા કરાવવી, ભાડેથી હત્યાનું કાવતરું ઘડવું અને મની લોન્ડરિંગનું કાવતરું કરવાના આરોપો સ્વીકાર્યા હતાં. ફેડરલ સજા માર્ગદર્શિકા હેઠળ ગુપ્તાને 20થી 24 વર્ષની વર્ષની જેલની સજા થઈ શકે છે. કોર્ટના રેકોર્ડ દર્શાવે છે કે ગુપ્તાને કેટલી સજા થશે તેની 29મે જાહેરાત થઈ શકે છે.
ફરિયાદીપક્ષે ગુપ્તા પર ભારતીય સરકારી અધિકારી સાથે મળીને ગુરપતવંત સિંહ પન્નુનની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ મૂક્યો હતો. ભારત સરકારે પન્નુન વિરુદ્ધના કોઈપણ કાવતરા સામેલગીરીનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો.
ગુપ્તાએ મેનહટન ફેડરલ કોર્ટમાં યુએસ મેજિસ્ટ્રેટ જજ સારાહ નેટબર્ન સમક્ષ પોતાની અરજી દાખલ કરી જણાવ્યું હતું કે મેં બીજા વ્યક્તિ સાથે સંમતિ આપી હતી કે અમેરિકામાં એક વ્યક્તિની હત્યા કરવા માટે બીજા વ્યક્તિને બોલાવવામાં આવે. ન્યૂ યોર્કમાં કોઈને ગુનો કરવા માટે 15,000 ડોલર ચૂકવ્યા હતાં.
જૂન 2024માં ચેક રિપબ્લિકથી અમેરિકામાં લાવ્યા પછી ગુપ્તાએ આવા કોઇ કાવતરાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. આ પછી બ્રુકલિનની જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો. ફરિયાદી પક્ષના જણાવ્યું મુજબ ભારત સરકારના એક અધિકારી વિકાસ યાદવે મે 2023માં પન્નુનની હત્યાનું કાવતરુ ઘડવા ગુપ્તાની ભરતી કરી હતી.













