Gautam Adani's younger son gets engaged to diamond merchant's daughter
 પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ભારતના કાયદા પંચે બિન-નિવાસી ભારતીયો (NRI) અને ભારતીય નાગરિકો વચ્ચેના તમામ લગ્નોનું ભારતમાં રજિસ્ટ્રેશન ફરજિયાત બનાવવાની તાજેતરમાં ભલામણ કરી હતી. કપટપૂર્ણ લગ્નો તથા  છેતરપિંડી જેવી ગેરકાયદેસર પ્રથાઓને ડામવા માટે આ ભલામણ કરાઈ છે.

કાયદા પંચના જણાવ્યા અનુસાર લગ્નોમાં છેતરપિંડીના વધતા કિસ્સાઓ “ચિંતાજનક ટ્રેન્ડ” છે. કાયદા પંચના અધ્યક્ષ જસ્ટિસ (નિવૃત્ત) રિતુ રાજ અવસ્થીએ ગુરુવારે કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલને સુપરત કરેલા ‘ભારતમાં NRIs અને વિદેશી નાગરિકોને લગતા કાયદા અથવા વૈવાહિક મુદ્દાઓ’ નામના અહેવાલમાં આ ભલામણ કરાઈ હતી.

અહેવાલમાં જણાવ્યા મુજબ NRIs/OCIs અને ભારતીય નાગરિકો વચ્ચેના તમામ લગ્નોનું ભારતમાં ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવું જોઇએ. આ કાયદો તે વ્યક્તિઓને પણ લાગુ થવો જોઈએ જેઓ નાગરિકતા ધારા, 1955માં નિર્ધારિત ‘ઓવરસીઝ સિટિઝન્સ ઑફ ઈન્ડિયા’ (OCIs)ની વ્યાખ્યામાં આવે છે.

નવા કાયદામાં એનઆરઆઈ અને ભારતીય નાગરિક વચ્ચેના લગ્નમાં છૂટાછેડા, જીવનસાથીનું ભરણપોષણ, બાળકોની કસ્ટડી અને તેનું ભરણપોષણ તથા સમન્સ કે વોરંટની બજવણી સહિતના મુદ્દા આવરી લેવાયા છે. કાયદા પંચની પેનલે પાસપોર્ટ એક્ટ 1967માં પણ સુધારા કરવાની ભલામણ કરી છે. તે મુજબ વૈવાહિક સ્થિતિ જાહેર કરવી પડશે, જીવનસાથીના પાસપોર્ટને એકબીજા સાથે લિંક કરવા પડશે અને બંને જીવનસાથીના પાસપોર્ટ પર લગ્ન રજિસ્ટ્રેશન નંબર લખવો પડશે.

ભારતમાં NRI યુવક અથવા યુવતી સાથે પરણવાનો ક્રેઝ જોવા મળે ત્યારે કાયદા પંચે આ ભલામણ કરી છે. કાયદા પંચે જણાવ્યા પ્રમાણે ભારતીય નાગરિકો સાથે લગ્ન કરતા NRI માટે કડક નિયમો હોવા જોઈએ. ઘણી વખત વિદેશમાં પોતાના જીવન અને સ્ટેટસ વિશે બહુ મોટા દાવા કરીને ભારતીય યુવતીઓને ફસાવવામાં આવતી હોય છે અને પછી વિદેશ જતા જ વાસ્તવિકતા કંઈક અલગ હોય છે. આ ઉપરાંત NRI પતિ દ્વારા ભારતીય યુવતીઓને તરછોડી દેવામાં આવતી હોય તેવા કિસ્સા પણ ઘણા નોંધાય છે. આવી સ્થિતિમાં ભારતીય નાગરિકને તેના અધિકાર મળી શકે તે માટે લગ્નનું રજિસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવશે.

આ ઉપરાંત આ પ્રકારના તમામ લગ્નના વિવાદમાં સ્થાનિક અદાલતો પણ ચુકાદો આપી શકશે. ભારતીય નાગરિકના અધિકારના રક્ષણ માટે તથા સંબંધિત પાર્ટીઓના હિતો જાળવવા માટે આ કાયદા બનાવવા જરૂરી છે. આ ઉપરાંત વિદેશમાં વસતા ભારતીય સમુદાય સાથે વાતચીત કરીને તેમનામાં પણ આ વિશે જાગૃતિ લાવવામાં આવશે. વિદેશમાં ભારતીય સંગઠનો સાથે પણ આ વિશે ચર્ચા કરવામાં આવશે.

LEAVE A REPLY

twenty − 7 =