સીમા પારના ત્રાસવાદ માટે પાકિસ્તાન સામે વૈશ્વિક પગલાં લેવાની હાકલ કરતાં કેનેડામાં જી-7 નેતાઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ભારતનો પડોશી દેશ આતંકવાદનું ઉછેર કેન્દ્ર બની ગયો છે અને આ પડકાર પ્રત્યે આંખ આડા કાન કરવા એ માનવતા સાથે વિશ્વાસઘાત હશે. આતંકવાદ સામે લડવામાં બેવડા ધોરણો ન હોવા જોઇએ.
G7 આઉટરીચ સેશનમાં મોદીએ જણાવ્યું હતું કે 22 એપ્રિલનો પહેલગામ હુમલો દરેક ભારતીયના આત્મા, ઓળખ અને ગૌરવ પર સીધો હુમલો હતો. આતંકવાદને સમર્થન આપનાર કોઈપણ દેશને જવાબદાર ઠેરવવો જોઈએ અને તેનો હિસાબ કરવો જોઇએ. આતંકવાદ સામે લડવામાં બેવડા ધોરણો માટે કોઈ સ્થાન હોવું જોઈએ નહીં. આતંકવાદ માનવતાનો દુશ્મન છે. તે લોકશાહી મૂલ્યોનું સમર્થન કરતા તમામ રાષ્ટ્રોનો વિરોધ કરે છે. આતંકવાદ સામેની લડાઈમાં એકતા અનિવાર્ય છે.
મોદીએ જણાવ્યું હતું કે ત્રાસવાદ સામે વૈશ્વિક પગલાં લેવા જોઇએ, પરંતુ વાસ્તવિકતા તદ્દન વિપરીત છે. એક તરફ આપણે આપણી પોતાની પસંદગીઓ અને હિતોના આધારે વિવિધ પ્રતિબંધો લાદીએ છીએ. બીજી તરફ આતંકવાદને ખુલ્લેઆમ સમર્થન આપનારા રાષ્ટ્રોને પુરસ્કાર મળતો રહે છે. શું આપણે ખરેખર આતંકવાદનો સામનો કરવા માટે ગંભીર છીએ? શું આપણે આતંકવાદનો સાચો અર્થ ત્યારે જ સમજીશું જ્યારે તે આપણા પોતાના દરવાજા ખટખટાવશે?”શું આતંક ફેલાવનારાઓ અને તેનાથી પીડાતા લોકોને સમાન ધોરણે તોલી શકાય? શું વૈશ્વિક સંસ્થાઓ તેમની વિશ્વસનીયતા ગુમાવી રહી છે.
આતંકવાદ સામે લડવા માટે નિર્ણાયક વૈશ્વિક પગલાં લેવા હાકલ કરતાં વડાપ્રધાનને જણાવ્યું હતું કે જો આપણે આતંકવાદ સામે પગલાં નહીં લઈએ તો ઇતિહાસ આપણને ક્યારેય માફ નહીં કરે. અંગત હિત ખાતર આતંકવાદ પ્રત્યે આંખ આડા કાન કરવા અથવા આતંકવાદ કે આતંકવાદીઓને સમર્થન આપવું, એ સમગ્ર માનવતા સાથે વિશ્વાસઘાત છે.
