નીરવ મોદી અને વિજય માલ્યા જેવા આર્થિક ગુનેગારોને સ્પષ્ટ સંદેશ આપતા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવાર, 18 નવેમ્બરે જણાવ્યું હતું કે તેમની સરકાર હાઇ પ્રોફાઇલ આર્થિક ગુનેગારોને દેશમાં પરત લાવવા માટે રાજદ્વારી સહિતના તમામ માધ્યમોનો ઉપયોગ કરી રહી છે. આવા ગુનેગારો માટે દેશમાં પરત આવ્યા સિવાય કોઇ આરો નથી.

ક્રેડિટ ફ્લો એન્ડ ઇકોનોમિક ગ્રોથ અંગેના સિમ્પોસિયમમાં વડાપ્રધાને જણાવ્યું હતું કે ભાગેડૂઓને પરત લાવવાના અમારા પ્રયાસમાં અમે નીતિઓ અને કાયદા પર આધાર રાખીએ છીએ તથા ડિપ્લોમેટિક માધ્યમનો ઉપયોગ કરીએ છીએ. સંદેશ ઘણો સ્પષ્ટ છે, દેશમાં પરત આવો. અમારા આવા પ્રયાસો ચાલુ છે. જોકે મોદીએ કોઇ આર્થિક ગુનેગારનું નામ લીધું ન હતું.

ભારતે તાજેતરમાં વિજય માલ્યા અને નીરવ મોદી જેવા હાઇ પ્રોફાઇલ આર્થિક ગુનેગારોને દેશમાં પરત લાવવા માટેના પ્રયાસોને વેગીલા બનાવ્યા છે.

મોદીએ જણાવ્યું હતું કે વિવિધ પગલાં મારફત ડિફોલ્ટર્સ પાસેથી રૂ.5 લાખ કરોડ વસૂલ કરવામાં આવ્યા છે. તાજેતરમાં રચવામાં આવેલી નેશનલ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની (NARCL)થી દબાણયુક્ત લોનના રૂ.2 લાખ કરોડ વસૂલ કરવામાં મદદ મળશે.

નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, 2014માં તેમની સરકાર સત્તામાં આવી છે, ત્યારથી બેંકોની આર્થિક સ્થિતિ ખુબ જ સારી બની છે, કારણ કે કે બેંકો દ્વારા સામનો કરવામાં આવતી સમસ્યાઓનો તેઓ ઉકેલ લાવી રહ્યા છે. ભારતને આત્મનિર્ભર બનાવવા અને દેશના અર્થતંત્રને નવી ઉર્જા ભરવા માટેનો મહત્વનો રોલ ભજવવા માટે ભારતીય બેંકો ખુબ જ મજબૂત છે.આ સમય સંપત્તિ સર્જકો અને નોકરી સર્જકોને તમારું સમર્થન આપવાનો છે. આ સમયની જરૂર છે કે, બેંક પોતાની બેલેન્સ શીટની સાથે દેશની સંપત્તિની શીટ ઉપર પણ સક્રિય કામ કરે. આ ઉપરાંત બેન્કર્સ સાથે વાત કરતાં મોદીએ કહ્યું કે, લોન એપ્લિકન્ટની લોન એપ્રુવર બનવાને બદલે હવે બિઝનેસ વધારવા માટે બેંકોએ પાર્ટનરશિપ મોડલ અપનાવવું જોઈએ. આ સાથે તેઓએ જણાવ્યું કે, ગ્રાહકો બેંકમાં આવે તેની રાહ ન જુઓ, પણ તમે ગ્રાહકો સુધી પહોંચો.