કોરોનાવાયરસનો રોગચાળો વિશ્વભરમાં વ્યાપેલો છે ત્યારે વૈજ્ઞાનિકોએ જાહેર કર્યુ છે કે ‘’મોટેભાગે છાપા કોરોના વાયરસ ફેલાવી શકતા નથી અને ન્યુઝપેપર વાંચવા સલામત છે અને તેથી અખબાર વાંચવાથી કોવિડ-19નો ચેપ લાગવાનુ જોખમ ખૂબ જ ઓછું છે.‘’

વાઇરોલોજિસ્ટ જ્યોર્જ લોમોનોસોફે જણાવ્યું હતું કે “અખબારો તેમની છાપવાની રીત અને તે જે પ્રક્રિયામાંથી પસાર થાય છે તેના કારણે ખૂબ જંતુરહિત હોય છે. આજ કારણોસર પહેલાના વખતમાં યુકેમાં લોકો છાપાંમાં પેક કરેલા ફીશ એન્ડ ચીપ્સ અને ભારતમાં ભજીયા-ગોટા ખાતા હતા.

ટીવી ડોક્ટર હિલેરી જોન્સે પણ લોકોને પેપર વાંચવાનું ચાલુ રાખવા વિનંતી કરતાં જણાવ્યું હતુ કે “જાહેર આરોગ્યની સાચી માહિતી અને અન્ય અગત્યના સમાચારો અખબારો દ્વારા જ મળતાં હોય છે.”

પ્રોફેસર ક્રિસ વિટ્ટીના જણાવ્યા અનુસાર કોવિડ -19 ચેપ સખત સપાટી પર 72 કલાક સુધી જીવી શકે છે. હવામાં તે ત્રણ કલાક, તાંબા પર ચાર કલાક અને કાર્ડબોર્ડ પર 24 કલાક સુધી રહી શકે છે. પ્લાસ્ટિક પર વાયરસ ત્રણ દિવસ સુધી ટકે છે.