ભાગેડુ હીરા કારોબારી નીરવ મોદીની હીરાજડિત મોંઘી ઘડિયાળો, કાર અને દુર્લભ કલાકૃતિઓ સહિત 112 સામાનોની હરાજી આજે યોજાવાની છે. ED દ્વારા સેફર્નઆર્ટ હરાજી યોજશે. ત્યારબાદ 72 સામાનની ઓનલાઈન હરાજી 3અને 4 માર્ચના યોજાશે. સેફર્નઆર્ટે મોદીની માલિકીની અમુક કલાકૃતિઓની ગતવર્ષે માર્ચમાં હરાજી કરી હતી. જેનાથી રૂ. 55 કરોડ એકત્ર કર્યા હતા.
સેફર્નઆર્ટે જણાવ્યુ છે કે, ગુરૂવારના હરાજી માટે મુકવામાં આવેલા સામાનમાં અમૃતા શેરગીલની 1935ની પેન્ટિંગ, એમએફ હુસૈનની મહાભારત શ્રૃંખલાની એક ઓઈલ પેન્ટિંગ, વીએસ ગાયતોન્ડેની 1972ની પેન્ટિંગ અને મનજીત બાવાની કૃષ્ણ પેન્ટિંગ સામેલ છે. જેમાં શેરગીલ અને હુસૈનની પેન્ટિંગમાંથી રૂ. 12થી 18 કરોડ, ગાયતોન્ડેની પેન્ટિંગ મારફત રૂ.7-9 કરોડ, બાવાની પેન્ટિંગના રૂ. 3-5 કરોડ ઉપજવાનો અંદાજ છે. તદુપરાંત રાજારવિ વર્માની પેન્ટિંગ પણ હરાજીમાં મુકાશે. ઉલ્લેખનીય છે કે, નીરવ મોદી પર પંજાબ નેશનલ બેન્ક સાથે રૂ.14,000 કરોડથી વધુની છેતરપિંડી કરવાનો આરોપ છે. તે દેશમાંથી ફરાર છે. તેઓ બ્રિટનમાં જોવા મળ્યા હતા.
મોદી પાસેથી જપ્ત ઘડિયાળોમાંથી એયગર-લા-કોટ્ મેન્સની રિવર્સો ગિરોટોર્બિલન 2 લિમિટેડ એડિશન રૂ. 70 લાખમાં હરાજી થવાનો આશાવાદ છે. તદુપરાંત પાટેક ફિલિપની નોટિલસ બ્રાન્ડ નામની સોના અને હીરાજડિત ઘડિયાળોના પણ રૂ. 70 લાખ ઉપજી શકે છે. લકઝરી કારમાં રોલ્સ રોયસ ઘોસ્ટ રૂ. 95 લાખમાં હરાજી થવાનો આશાવાદ છે. જ્યારે હરાજીમાં સામેલ લકઝરી રિટેલ બ્રાન્ડ હરમની બિરકિન અને કેલીના હેન્ડબેગ પણ છે. જેના પ્રત્યેક રૂ. 6 લાખ સુધી મળવાની શક્યતા છે.