Nitish Kumar
બિહારના મુખ્યપ્રધાન નીતિશકુમાર . (Getty Images)

સંસદ ચોમાસુ સત્રમાં પેગાસસ સોફ્ટવેરથી જાસૂસી કરવાના પ્રકરણના કારણે વિરોધ પક્ષો હોબાળો મચાવી રહ્યા છે ત્યારે હવે બિહારના મુખ્યપ્રધાન અને ભાજપના સાથીદાર નિતિશ કુમારે પણ વિપક્ષના સૂરમાં સૂર પૂરાવ્યો છે.
નીતિશ કુમારે કહ્યું હતું કે, પેગાસસ પ્રકરણમાં મને એટલી જ ખબર છે જેટલી વર્તમાનપત્રોમાં વાંચી છે. આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ ખોટી રીતે થઈ શકે છે તે બધા જાણે છે. લોકોની મોબાઈલ થકી થતી વાતચીતને ટેપ કરવાનો પ્રયાસ કરાયો છે તો આ મામલાની તપાસ થવી જોઈએ.

આ મુદ્દાની તપાસ સંયુક્ત સંસદિય સમિતિ દ્વારા કરવાની વિપક્ષની માંગ અંગે સવાલ કરવામાં આવ્યો ત્યારે નીતિશ કુમારે કહ્યુ હતુ કે, સંસદમાં શું ચાલી રહ્યુ છે તેના પર હું ટિપ્પણી નહીં કરુ પણ પેગાસસ મામલામાં જો કોઈની પાસે કોઈ નક્કર માહિતી હોય તો સરકારને આપે.મને વિશ્વાસ છે કે, સરકાર આ મામલાની પ્રામાણિકતાથી તપાસ કરાવશે. આ નિવેદન બાદ શિવસેનાએ નીતિશકુમારના વખાણ કર્યા છે. શિવસેના પ્રવક્તા સંજય રાઉતે કહ્યુ હતુ કે ,હું નીતિશ કુમારનો આભારી છું. તેઓ એક આદર્શ નેતા છે. શરીરથી ભલે તેઓ સરકાર સાથે હોય પણ મનથી અમારી સાથે છે.