છેલ્લા કેટલાય સમયથી મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વચ્ચે રાજકીય શીતયુદ્ધ જામ્યું છે. બંને નેતાઓ વચ્ચે એટલો રાજકીય ઝઘડો જામ્યો છે કે, હવે તો નીતિન પટેલની સરકારી કાર્યક્રમમાં જાહેરમાં અવગણના થવા લાગી છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં એક ચાર્ચાએ ભારે જોર પકડ્યું છે શું નીતિન પટેલે ખરેખર એકલા પડી ગયા છે?

ત્યારે આજે નીતિન પટેલે કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહના નિવેદનને લઇને મીડિયા સમક્ષ આવી ભાજપ પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. તેમણે કહ્યું કે હાલ જ મીડિયા મારફત જાણકારી મળી કે વિપક્ષ નેતા કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ એ નિવેદન કર્યું કે 15 ધારાસભ્ય લઈ ને કોંગ્રેસમાં આવે તો સીએમ બનાવી દઈએ. પરંતુ કોંગ્રેસને હુંજણાવવા માંગુ છું કે જનસંઘ વખતથી હું કાર્યકર્તા છું, નગરપાલિકાથી આજ સુધી અનેક તક પક્ષે આપી છે, પીએમ મોદી પ્રથમ વખત સીએમ બન્યા ત્યારે નાણાં મંત્રીની જવાબદારી મને સોંપી હતી. સંગઠનમાં મહેસાણા જિલ્લાનો પ્રદેશનો કોર ગ્રુપ સભ્ય અને પ્રદેશ પાર્લામેન્ટરી અને રાષ્ટ્રીય કારોબારીનો કાયમી સભ્ય છું.

બીજેપી પાર્ટી મારા લોહીમાં છે હ્રદયમાં છે કોઈ લાલસા મારા જીવનને અડી શકી નથી. ભૂતકાળમાં શંકરસિંહે અલગ સરકાર બનાવી ત્યારે મહેસાણાના મોટા ભાગના મંત્રી અને ધારાસભ્યો ગયા હતા. હું કડીથી ધારાસભ્યો હતો અને રાજપામાં લઇ જવા માટે અનેક ઓફરો આપી હતી, ત્યારે પણ હું પાર્ટી સાથે રહેલો. સીએમ બનવાની કે કોઈ હોદ્દો આપવાની લાલચ આપેએ ખોટા છે. ટૂંકી દ્રષ્ટિના માણસો ઘણા સમયથી તલપાપડ છે પણ કોઈ પણ હોય તે લોકોને ખ્યાલ નથી નીતિન પટેલના સિદ્ધાંતનો ખ્યાલ નથી

સત્તામાં હોય કે ના હોય હું પાર્ટીમાં જ રહીશ. 1974થી આજ સુધી સતત હોદ્દો હોય કે ના હોય જનસંઘ કે બીજેપી સિવાય કોઈ વિચાર આવ્યો નથી. હું એ બધાને ચેતવણી આપું છું તમે ક્યાંય રહો કે ના રહો તમારું જે થવાનું હોય થાય અમારા હાથે થવાનું છે અમારા પક્ષ દ્વારા જ થવાનું છે કડક ચેતવણી આપું છે કે હવે મારુ નામ ના લે.

ઉલ્લેખનીય છે કે ભાજપના નેતાઓ કોંગ્રેસના ધારાસભ્યોને વારંવાર ભાજપનો ભગવો પહેરવા માટે આમંત્રણ આપે છે. આવુ જ આમંત્રણ થોડા દિવસ પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને કોંગ્રેસના ધારાસભ્યોને આપવામાં આવી હતી. 2 માર્ચના રોજ ગુજરાત વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મરે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના એક બાજુ બધા અને એકબાજુ હું એકલો નિવેદન પર કટાક્ષ કરતા કહ્યું હતુ કે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઘણું સારું કામ કરે છે અને અમારો એમને ટેકો છે, એ 15 ધારાસભ્યો લઈને આવે તો મુખ્યમંત્રી બનાવવા અમારો ટેકો છે. તમારા પક્ષના લોકો તમને સમજી શકતા નથી.