ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી ((Photo by SAM PANTHAKY/AFP via Getty Images)

દિવાળી બાદ રાજ્યમાં કોરોના વાયરસના કેસો વધવાથી સમગ્ર રાજ્યમાં સંપૂર્ણ લૉકડાઉન આવશે એવો ભય ફેલાયો હતો અને અફવાઓ ફેલાઈ રહી હતી, ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સ્પષ્ટતા કરી હતી કે ગુજરાતમાં લૉકડાઉનની કોઇ વિચારણા નથી. આ માત્ર એક અફવા છે. તેમણે અમદાવાદમાં લગાવવામાં આવેલા કરફ્યૂ અંગે પણ કહ્યું હતું કે કોરોનાના કેસોમાં મોટો વધારો થતાં શહેરમાં તકેદારીના ભાગરૂપે કરફ્યૂ લગાવવામાં આવ્યો છે.

અમદાવાદમાં 20 નવેમ્બરથીી રાત્રે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી કરફ્યૂની જાહેરાત કરાયા બાદ લોકોમાં હવે લૉકડાઉન આવશે એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. ત્યારે અંબાજી દર્શન માટે પહોંચેલા મુખ્યપ્રધાન રૂપાણીએ પત્રકારો સાથેની વાતચીતમાં આ સ્પષ્ટતા કરી હતી.