પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ઓમિક્રોન વેરિયન્ટની ચિંતા વચ્ચે ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેરની તૈયારીઓ અંગે માહિતી આપતાં ઋષિકેશ પટેલે શુક્રવારે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર કોરોનાની ત્રીજી લહેરને પહોંચી વળવા માટે સજ્જ છે. રાજ્યમાં 7827 વેન્ટિલેટર બેડ, આઈસીયુ 16032 બેડ, ઓક્સિજન બેડ 55084, અને કુલ બેડની સંખ્યા 1 લાખ 10 હજાર હોવાનું ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. આ ઉપરાંત તેઓએ ઉમેર્યું કે બાળકો માટે એક હજાર વેન્ટિલેટર બેડ તૈયાર છે. તમામ કોવિડ હોસ્પિટલમાં 10થી 20 ટકા બેડ બાળકો માટે રખાયા છે. ઓક્સિજનની ક્ષમતા વધારીને 1600 મેટ્રિક ટન કરવામાં આવી છે.

આરોગ્ય પ્રધાને કહ્યું કે, જિલ્લા અને શહેરોમાં જરૂરિયાતના આધારે હંગામી હોસ્પિટલો શરૂ કરવામાં આવશે. 500થી 1500 બેડની હોસ્પિટલ ઉભી કરવાની સરકારની તૈયારીઓ છે. GERMIS દ્વારા હોસ્પિટલમાં પથારીની ઉપલબ્ધતાની રિયલ ટાઈમ મોનિટરિંગ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. 10899 ઓક્સિજન કોન્સ્ટ્રેટર મશીન ઉપલબ્ધ છે. હાલ રાજ્યમાં 62 સરકારી અને 75 ખાનગી આરટીપીસીઆર લેબ ઉપલબ્ધ છે.
ઓમિક્રોન વેરિયન્ટના ફફડાટ વચ્ચે પ્રધાને જણાવ્યું હતું કે કે, ઓમિક્રોન વેરિયન્ટથી ગભરાવવાની જરૂર નથી. ઓમિક્રોનના 97 દર્દીઓમાંથી 41 દર્દીઓને રજા આપી દેવામાં આવી છે. ઓમિક્રોનના દર્દીઓ ખુબ ઝડપથી સાજા થઈ રહ્યા છે. આ સાથે તેઓએ દાવો કર્યો કે, ઓમિક્રોનમાં સંક્રમણનો દર વધારે છે, પણ ગંભીરતા અને મૃત્યુદર ઘણો ઓછો છે.
આ ઉપરાંત વાયબ્રન્ટ સમિટને લઈ તેમણે કહ્યું કે, વાયબ્રન્ટમાં હાજર રહેનારા કર્મચારીઓના આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવશે અને રસીના બંને ડોઝ લીધા હશે તો જ પ્રવેશ આપવામાં આવશે. બહારથી આવતાં મુલાકાતીઓના આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવશે, તેમના બંને ડોઝના રસી સર્ટિફિકેટ ચેક કરાશે અને બાદમાં જ સમિટમાં પ્રવેશ આપવામાં આવશે.