પાકિસ્તાનમાં સરકારે ગત એપ્રિલમાં અફઘાનિસ્તાનીઓ વિરુદ્ધ દેશનિકાલ ઝુંબેશ ફરીથી શરૂ કર્યા પછી બે લાખથી વધુ અફઘાનીઓ દેશ છોડી ગયા છે. બીજી તરફ ઈરાને પણ અફઘાનિસ્તાનીઓની હકાલપટ્ટીમાં વધારો કર્યો હતો. અફઘાનિસ્તાનમાં છેલ્લા અનેક દસકાઓથી ચાલી રહેલા વિવિધ યુદ્ધ દરમિયાન, સલામતી અને સારી આર્થિક તકોની શોધમાં અફઘાનીઓની અનેક પેઢીઓ પડોશી પાકિસ્તાન અને ઈરાનમાં સ્થાયી થઇ હતી. બંને દેશની સરકારો આવા વિશાળ સંખ્યામાં માઇગ્રેશનથી પરેશાન હતી, અને લાખો લોકોને ધરપકડની ચીમકી આપીને ત્યાંથી રવાના થવા જણાવ્યું હતું. જેમની દેશમાં રહેવાની મંજૂરી રદ્ કરવામાં આવી હતી તેવા આઠ લાખથી વધુ અફઘાનીઓને દેશનિકાલ કરવા માટે પાકિસ્તાન સરકારે કડક ઝુંબેશ શરૂ કરી હતી. તેમાં કેટલાક એવા લોકોનો પણ સમાવેશ થાય છે જેમનો જન્મ પાકિસ્તાનમાં થયો હતો અથવા દસકાઓથી ત્યાં વસવાટ કરતા હતા. ગૃહ મંત્રાલયના જણાવ્યા મુજબ, એપ્રિલમાં 135,000થી વધુ અફઘાનીઓ પાકિસ્તાન છોડીને ગયા હતા, જ્યારે મે મહિનામાં લગભગ 67,000 લોકો ગયા હતા અને જૂનના પ્રથમ બે દિવસમાં 3,000થી વધુ લોકોને પરત મોકલવામાં આવ્યા હતા.
