ગુજરાતની બે દિવસની યાત્રા પર આવેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંગે ગુરુવાર (25 માર્ચ)એ ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યોને ઐતિહાસિક સંબોધન કર્યું હતું. (ANI Photo)

ગુજરાતની બે દિવસની યાત્રા પર આવેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંગે ગુરુવાર (25 માર્ચ)એ ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યોને ઐતિહાસિક સંબોધન કર્યું હતું. ગૃહના અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્યએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું સ્વાગત કર્યું હતું. સામાન્ય રીતે રાષ્ટ્રપતિ દેશની સંસદમાં સંબોધન કરતાં હોય છે. કોઇ રાજ્યની વિધાનસભામાં તેમનું આ પ્રથમ સંબોધન હતું.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સંબોધનમાં જણાવ્યું કે, ગુજરાત વિધાનસભામાં આ સંબોધન ત્યારે યોજાયું છે જ્યારે આપણો દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યું છે. આઝાદી અને તેના અમૃત મહોત્સવના સંદર્ભના સંબોધનમાં ગુજરાત સિવાય કોઇ ઉપયુક્ત સ્થળ નથી. સ્વતંત્ર ભારતની કલ્પના કરવાના લોકોમાં ગુજરાતના લોકો અગ્રીમ હતા. ગુજરાતનો ઈતિહાસ અદ્વિતીય છે, આઝાદીના સંઘર્ષને ગુજરાતના લોકોએ ઘણો મજબૂત બનાવ્યો.

રાષ્ટ્રપતિએ કહ્યું કે, ગુજરાતીઓની ઉદારતા ભારતની વિશેષતા છે. ગુજરાતમાં વિવિધતામાં એકતાના દર્શન થાય છે, સંઘર્ષો વચ્ચે પણ આ ધરતી વધુ શક્તિશાળી બનીને ઊભરી આવી છે. ગુજરાતીઓનો દેશપ્રેમ વિશ્વ વિખ્યાત છે. ગુજરાતીઓ આખી દુનિયામાં રહે છે પણ માતૃભૂમિ સાથે જોડાયેલા રહે છે.

તેમણે રાષ્ટ્રપતિ બન્યા બાદ બાપૂની ધરતી પર આવવાના અવસર મળ્યા એની પ્રસન્નતા વ્યક્ત કરી, તેમણે મહાત્મા ગાંધીને યાદ કરતા જણાવ્યુ કે, બાપુની ધરતી પર આવવાના અનેક અવસર પ્રાપ્ત થયાં છે. સ્વતંત્ર ભારતની કલ્પના કરનાર લોકોમાં ગુજરાતી મહત્વના છે. મહાત્મા ગાંધીએ સંપૂર્ણ વિશ્વને નવીન વિચારને મહત્વ આપ્યું છે. રાષ્ટ્રપતિએ આઝાદીના આંદોલનો બારડોલી સત્યાગ્રહ, મીઠાના આંદોલને પણ યાદ કર્યા હતા.

તેમણે કહ્યું કે, બારડોલી સત્યાગ્રહમાંથી લોહપુરૂષ સરદાર પટેલ મળ્યા. સ્ટેચ્યૂ ઓફ યુનિટીના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વખાણ કર્યાં હતા અને એમ પણ કહ્યું હતું કે, નર્મદા કાંઠે સરદારની સૌથી ઊંચી પ્રતિમા કરતાં પણ વધારે ઊંચી પ્રતિમા લોકોના દિલમાં છે. ગુજરાતની વિવિધતામાં એકતાના દર્શન થયાં છે.

રાષ્ટ્રપતિએ કવિ ઉમાશંકર જોષીની કવિતાની પંક્તિઓનું પઠન કર્યું હતું. 1970થી ગુજરાત સાથે સંબંધ છે, મોરાજી દેસાઈ સાથે કામ કરવાનો મોકો મળ્યો, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ કામ કર્યું. રાષ્ટ્રપતિએ નરસિંહ મહેતાના ભજન વૈષ્ણવ વજન તો તેને કહીએને યાદ કર્યું હતું. આ સાથે પાલીતાણા, ગીર, વડનગર સહિત અનેક મંદિરોએ એકતાના ઉદાહરણ આપ્યા છે. તેમણે કહ્યું હતું કે, વિજ્ઞાન ક્ષેત્રે ગુજરાતનું યોગદાન છે. વિક્રમ સારાભાઈ અને હોમી ભાભા જેવા વૈજ્ઞાનિકો ગુજરાતે આપ્યાં છે.